POKમાં આત્મઘાતી હુમલાખોરો તૈયાર કરવાના કેમ્પ, કાશ્મીરમાં 298 આતંકવાદીઓ હજી મોજુદ
Updated: Feb 21st, 2019
નવી દિલ્હી,તા.21.ફેબ્રુઆરી 2019, ગુરુવાર
પુલવામા હુમલા બાદ ભારતીય સેનાએ બદલો લઈને જૈશ એ મહોમ્મદના આતંકવાદી તેમજ પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ કામરાન તેમજ રાશિદ ગાઝીને યમસદન પહોંચાડી દીધા બાદ હવે અબુ બકરને નવો કમાન્ડર બનાવાયો છે.
અબુ બકર આઈઈડીનો એક્સપર્ટ મનાય છે.તેને અફઘાનિસ્તાનના આતંકવાદીઓ સાથે તાલીમ આપવામાં આવી હતી.તેણે ગત જુલાઈ મહિનામાં પીઓકેમાંથી કાશ્મીરમાં ઘુસણખોરી કરી હતી.ગુપ્તચર સૂત્રોના કહેવા પ્રમાણે પીઓકેમાં બોઈ, મદારપુર, ફગોશ અને દેવલિયામાં ટ્રેનિંગ કેમ્પમાં જૈશના બીજા બે ડઝન આત્મઘાતી હુમલાખોરોને તૈયાર કરવાનુ અભિયાન ચાલી રહ્યુ છે.
પાક સેના ભારતમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ ઘૂસાડવાની ફિરાકમાં છે.જેના કારણે જ બે દિવસમાં પાક આર્મી સંખ્યાબંધ વખત શસ્ત્રવિરામનુ ઉલ્લંઘન કરી ચુકી છે.હાલમાં પણ કાશ્મીરમાં અલગ અલગ આતકંવાદી સંગઠનોના 298 આતંકીઓની હાજરી છે.જેમાં સૌથી વધારે 80 આતંકીઓ લશ્કરના અને 55 સ્થાનિક કાશ્મીરી આતંકવાદી છે.જ્યારે જૈશના 22 આતંકવાદીઓ છે.
સૂત્રોનુ કહેવુ છે કે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈને કાશ્મીરમાં મોજુદ હિજ્બુલ મુજાહિદ્દીનના વિદેશી અે સ્થાનિક આતંકવાદીઓ પર બહુ ભરોસો નથી.હાલમાં હિજ્બુલના લગભગ 102 સ્થાનિક આતંકવાદીઓ કાશ્મીરમાં છે.આ આતંકવાદીઓનો ખાત્મો ભારતીય સુરક્ષા દળો માટે મોટો પડકાર છે.