રાજસ્થાન, ઉ. પ્રદેશ અને બિહારમાં રોડ અકસ્માતોમાં કુલ 21નાં મોત
- રાજસ્થાનમાં જાનૈયાના સમુહ પર ટ્રક ફરી વળતાં નવનાં મોત
- ઉ.પ્રદેશ એમ્બ્યુલન્સ કાર સાથે ટકરાઈ
Updated: Feb 19th, 2019
નવી દિલ્હી, તા.19 ફેબ્રુઆરી, 2019, મંગળવાર
આજે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારમાં સર્જાયેલા અકસ્માતોમાં ૨૧નાં મોત થયાં હતાં. રાજસ્થાનમાં એક ટ્રક જાનૈયાઓ પર ફરી વળતાં નવનાં મોત થયા હતાં. ઉ. પ્રદેશના યમુના એક્સપ્રેસ વે પર એમ્બ્યુલન્સ અને કાર ટકરાતા સાતના મોત થયા હતા. જયારે બિહારના મુંગેરમાં એક ટ્રક અને વાન અકસ્માતમાં ચારનાં મોત થયા હતાં.
રાજસ્થાનમાં નેશનલ હાઈવે પર રામદેવ મંદિર નજીક પુરપાટ જઈ રહેલી ટ્રક રસ્તા પર જઈ રહેલા જાનૈયાના સમૂહ પર ફરી વળતાં ચાર બાળક સહિત નવનાં મોત થયા હતા અને ૧૯ ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે ટ્રાફિક જામ થયો હતો. રાજય સરકારે મૃતકોના સગાને રૂપિયા ૫૦૦૦૦ની સહાય જાહેર કરી હતી. દુર્ઘટના બાદ હાઇવે પર વિરોધ પ્રદર્શનો થયા હતા.
ઉત્તર પ્રદેશમાં યમુના એક્સપ્રેસ વે પર બુર્જ સુખદેવ ગામ નજીક થયેલી દુર્ઘટનામાં એક એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. એમ્બ્યુલન્સ કાર સાથે ટકરાઇ હતી. આ ઘટનામાં બે મહિલા સહિત સાતનાં મોત થયા હતાં. પોલીસે મૃતદેહોને કારની બોડી કાપીને બહાર કાઢવા પડયા હતા. આ ઘટનામાં પાંચને ઇજા થઇ હતી.
બિહારમાં મુગેર જિલ્લામાં મજૂરો ભરેલા વાહન સાથે ટ્રક ટકરાતા ચાર મજૂરના મોત થયા હતા. ભીમબંધ નજીક થયેલા આ અકસ્માતમાં નવને ઇજા થઇ હતી.