બાગેશ્વરધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને નાગપુર પોલીસની ક્લિન-ચીટ
Updated: Jan 25th, 2023
અંધ વિશ્વાસ ફેલાવતા હોવાનો પુરાવો પોલીસને ન મળ્યો
મુંબઇ : બાગેશ્વર ધામ બાબા તરીકે જાણીતા અને વિવાદનો વંટોળ જગાવનાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ મૂકાયા બાદ નાગપુર પોલીસે તપાસ કરીને તેમને ક્લિન-ચીટ આપી છે.
અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના શ્યામ માનવે બાબા ઉપર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ મૂક્યો હતો
મહારાષ્ટ્રની ઉપરાજધાની નાગપુરમાં પાંચમીથી ૧૧મી જાન્યુઆરી સુધી બાગેશ્વરધામ બાબાનો એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ વખતે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના ઉપાધ્યક્ષ શ્યામ માનવે આરોપ કર્યો હતો કે બાબા અંધશ્રદ્ધા ફેલાવે છે, અને તેમણે નાગપુર પોલીસમાં આ બાબતમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
નાગપુર પોલીસે આ ફરિયાદને પગલે પૂરી તરતપાસ કર્યા બાદ જણાવ્યું હતું કે શ્યામ માનવે બાબા પર કરેલા આરોપો તદ્દન પાયાવિહોણા છે. બાબા અંધવિશ્વાસ ફેલાવે છે એવો કોઇ પુરાવો તપાસમાં નથી મળ્યો.
નાગપુરના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે નાગપુરમાં પાંચમીથી ૧૧મી જાન્યુઆરી દરમ્યાન યોજાયેલા કાર્યક્રમના વિડિયો રેકોર્ડિંગની અમે બારીકાઇથી તપાસ કરી હતી અને એવાં નિષ્કર્ષ પર આવ્યા હતા કે બાબા તરફથી કોઇ અંધશ્રદ્ધા પેલાવવામાં નથી આવતી. આ સાથે જ ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક્સ એક્ટનું પણ ઉલ્લંઘન નથી થયું.
શ્યામ માનવને મોતની ધમકી મળી હતી
અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના શ્યામ માનવે બાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો વિરોધ કર્યા પછી તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ ધમકીનો ફોન તેમના પુત્રના મોબાઇલ પર આવ્યો હતો. ત્યાર પછી તેમની સિક્યોરિટી વધારવામાં આવી છે.
બાબાને ૩૦ લાખનું ઇનામ આપવાની ચેલેન્જ
શ્યામ માનવે બાબાને પડકાર ફેંક્યો ચે કે જો બાબા વિવિધ બીમારીઓમાંથી લોકોને સાજા કરવાના અને ચમત્કારિક ઇલાજના દાવા સાચા પડશે તે ૩૦ લાખ રૃપિયાનું ઇનામ આપીશ.