કોરોના ઈફેક્ટ: મુંબઈમાં વર્ક ફ્રોમ હોમનો આદેશ, નાગપુરમાં 144 લાગુ
Updated: Mar 17th, 2020
મુંબઈ, તા. 17 માર્ચ 2020 મંગળવાર
કોરોના સામે ઉકેલ મેળવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર એલર્ટ છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના 128 કેસ સામે આવ્યા છે. કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. અહીં 39 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે.
કોરોના વાયરસના સંક્રમણને ફેલાતા રોકવા માટે મુંબઈ મહાનગર પાલિકાએ કમર કસી છે. BMCએ એડવાઈઝરી જાહેર કરીને લોકોને બિનજરૂરી ઘરેથી બહાર ન નીકળવા અને જાહેર સ્થળે ન જવાની સલાહ આપી છે.
એડવાઈઝરીમાં પ્રાઈવેટ કંપનીઓને પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા આપવાનો આદેશ આપ્યો છે. BMCએ કહ્યુ કે ભારત સરકારે 50% કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સલાહ આપી છે. આ આદેશનું પાલન ન કરનારી કંપનીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યુ છે કે સરકારે કોરોના વાયરસને મહામારી જાહેર કરી છે. આ સાથે જોડાયેલા દિશા નિર્દેશોનું પાલન ન કરનારા સામે કલમ 1897 હેઠળ 6 મહિનાની જેલની સજા પણ થઈ શકે છે. મુંબઈ પોલીસે પહેલા જ ગ્રૂપ ટુર પર રોક લગાવી દીધી છે. આ રોક કલમ 144 અંતર્ગત લગાવાઈ છે.
નાગપુરમાં 144 લાગુ
નાગપુરમાં પોલીસ તરફથી એક નોટિસ જારી કરી કહેવામાં આવ્યુ છે કે બિન જરૂરી ભીડ જમા કરવા પર 144 હેઠળ કાર્યવાહી કરવામાં આવી શકે છે. પોલીસ તરફથી જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે દેશ અને દુનિયામાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે.
નોઈડામાં બે પોઝિટીવ કેસ
દિલ્હીના નોઈડામાં કોરોના વાયરસના બે કેસ સામે આવ્યા છે. નોઈડા સેક્ટર-100માં એક મહિલા અને એક પુરૂષ કોરોના વાયરસથી પોઝિટીવ છે. બંનેને તેમની ફેમિલી સાથે ક્વારનટાઈન કરવામાં આવ્યા છે.