મુંબઇમાં એક ઘરનોકરાણીને કોરોનાનો ચેપ લાગ્યો: શહેરમાં આ પ્રકારનો પહેલા કિસ્સો
- જે ઘરમાં કામ કરે છે તેઓ અમેરિકાથી અહીં આવ્યા છે: નોકરાણીના આખા કુટુંબનું તબીબી પરીક્ષણ થયું
Updated: Mar 20th, 2020
મુંબઇ,તા.20 માર્ચ 2020 શુક્રવાર
મુંબઇમાં ઘરનોકરાણી(૬૮)ને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનો પહેલો કિસ્સો નોંધાયો છે. હવે ગુરુવારે મહાનગરપાલિકા સંચાલિત કસ્તુરબા હોસ્પિટલમાં આ ઘરનોકરાણીનાં પરિવારજનો પણ તબીબી પરીક્ષણ કરવા ગયાં હોવાનું જાણવા મળે છે.
આ ઘરનોકરાણીને જે પરિવારમાં કામ કરે છે તેઓ અમેરિકાથીઅહીં મુંબઇ આવ્યાં છે. ઘરનોકરાણીને કદાચ આ પરિવારમાંથી કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું મનાય છે.
હજી ગયા બુધવાર સુધી જેટલાં પણ લોકોમાં કોરોના વાઇરસનાં લક્ષણો જણાયાં હતાં તે બધાં વિદેશથી અહીં મુંબઇ આવ્યાં હતાં.જોકે કોઇ ઘરનોકરાણીને પણ કોરોનાની અસર થઇ હોય તેવો શહેરમાં પ્રથમ કિસ્સો નોંધાયો છે.
કસ્તુરબા હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ માટે આવેલી પેલી ઘર નોકરાણીની પુત્રવધુએ એમ કહ્યું હતું કે હવે મારા કિશોર વયના પુત્રને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે કે કેમ તેની મને ઘેરી ચિંતા છે.મારાં સાસુ પેલા કુટુંબને ઘણાં વરસોથી ઓળખે છે.આ પરિવાર અહીં મુંબઇમાં હતો ત્યારે મારાં સાસુ તેમના ઘરે રસોઇ અને સાફ-સફાઇનું કામ કરતાં હતાં.
આ ઘરનોકરાણી શહેરની એક ઝૂંપડપટ્ટીમાં તેના પુત્ર,પુત્રવધુ અને બે પૌત્રમાના એક પૌત્ર સાથે રહે છે.હવે આ ઘરનોકરાણીને કોરોેનાનાના ચેપનાં લક્ષણો જણાયાં છે ત્યારે મહાનગરપાલિકાએ તેના પરિવારનાં તમામ સભ્યોને પણ જરૂરી તબીબી પરીક્ષણ કરવા કહ્યું હતું.
ઘરનોકરાણીની પુત્રવધુએ એમ પણ કહ્યું હતું કે હવે મનેમારા બંને દીકરાનાં સ્વાસ્થ્યની ચિંતા છે.મારો એક પુત્ર બીજા રાજ્યમાં ભણે છે અને તેને રજા હોવાથી હજી ૧૨ દિવસ પહેલાં જ ઘરે આવ્યો છે.હવે મારા આ દીકરાને પણ બાકીના દિવસો અમારી સાથે જ વિતાવવા પડશે.આમ છતાં અમને અમારાં સાસુના આરોગ્યની પણ એટલી જ ચિંતા છે.
બીજીબાજુ ઘરનોકરાણી જે વિસ્તારમાં રહે છે તે વોર્ડના મહાપાલિકાના ડોક્ટરે એમ કહ્યું હતું કે આ ઘરનોકરાણીએ તે પોતે કયા ઘરે કામ કરે છે તેની વિગતો આપવામાં જરાય ખચકાટ કર્યો નહોતો. અમને આ બધી માહિતી તેના પુત્ર પાસેથી મળી હતી.આ ઘરનોકરાણી બીજાં જે ઘરમાં કામ કરે છેત્યાં બે દંપતિ છે.આ બંને દંપતિને પણ તબીબી પરીક્ષણ કરાવવાની સૂચના અપાઇ છે.ઉપરાંત તે અન્ય એક મહિલાના ઘરે પણ કામ કરે છે પણ તે મહિલા હાલ મુંબઇ બહાર છે.
ઘરનોકરાણીનો પુત્ર શરૂઆતમાં તબીબી પરીક્ષણ કરાવવા રાજી નહોતો પણ અમે તેને તબીબી પરીક્ષણ કરાવવા સમજાવ્યો હતો.સાથોસાથ અમે સોડિયમ હાઇડ્રોક્લોરાઇડ દ્વારા આખા ઝૂંપડપટ્ટી વિસ્તારને સેનિટાઇઝ્ડ(સ્વચ્છ-જંતુમુક્ત કરવું) કર્યો છે.સાથોસાથ કોરોનાનાં લક્ષણો છે કે કેમ તે માટે અમે અન્ય ૩૦૦ ઘરમાં પણ જરૂરી તપાસ કરી છે.