For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આવશ્યક વસ્તુની ઊંચી કિંમત વસૂલતા વેપારીઓને તોલમાપ ખાતાએ દંડ કર્યો

- ખાદ્યતેલ, માસ્ક, સેનિટાઈઝર, દૂધ, છાશ વધુ કિંમતે વેચનાર 1,100 વેપારીઓને ઝડપી લઈને રૂા. 2.21 લાખનો દંડ વસૂલ કર્યો

Updated: May 28th, 2020

Article Content Image

અમદાવાદ,27 મે 2020 બુધવાર

લૉકડાઉનના ગાળામાં આવશ્યક ચીજવસ્તુઓના વેપારીઓએ જનતા પાસે ઊંચી કિંમત વસૂલને બેફામ લૂંટ ચલાવી હોવાની ફરિયાદોને ધ્યાનમાં લઈને અમંદાવાદના તોલમાપ ખાતાના અધિકારીઓ તેમનું વિરુદ્ધ ઝુંબેશ ચાલુ કરીને તેમની પાસેથી રૂા.2.21 લાખ દંડ પેટે વસૂલ કર્યા છે. આ વેપારીઓએ જીવન આવશ્યક વસ્તુઓ પર છાપવામાં આવેલી કિંમત કરતાંય વધુ ભાવ લીધા હોવાની ફરિયાદો તોલમાપ ખાતાને મળી હતી. તોલમાપ ખાતાએ 1700 એકમો પર તપાસ કરીને 1100 એકમો સામે કાયદેસર કાર્યાવાહી કરી છે. 

તોલમાપ વિભાગના ડિરેક્ટર ડી.એલ. પરમારે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે સમગ્ર રાજ્યમાં લોકડાઉન દરમિયાન, કાનુની માપ વિજ્ઞાાન અને ગ્રાહક સુરક્ષા નિયત્રંક ખાદ્યતેલ, સેનેટાઈઝર, માસ્ક, દૂધ, છાસ વગેરે આવશ્યક ચીજવસ્તુઓ પર એમ.આર.પી. કરતા વધુ ભાવ લેવા બાબતે લોકડાઉનના સમયગાળા દરમ્યાન આજદિન સુધી લગભગ 1700 જેટલા એકમો ઉપર તપાસો કરવામા આવેલ તેમજ 1100 એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે . 

તેમનું કહેવું છે કે રાજ્યમાં લોકડાઉન-4માં આપેલ છૂટછાટ દરમ્યાન પાન-મસાલા તથા તમાકુના વેચાણમાં બેફામ ભાવ લેવા અંગેની ફરીયાદો તોલમાપ નિયત્રંક તંત્રને મળતા આ બાબતે ગાંધીનગર નિરીક્ષકોની એક ટીમ દ્વારા અંબિકા ટ્રેડર્સ, માણસા ઉપર દરોડા પાડી તપાસ કરતાં વિમલ પાન-મસાલા પાઉચના 28 રુપિયાને બદલે 40 રુપિયા વસૂલેલ તેમજ ઇગલ તમાકુ ના ટિનના 75 રુપિયાના બદલે 200 રુપિયા વસુલવામાં આવેલ છે.

આ ઉપરાંત બંસરી પાન અને લાલસોટ પાન પાર્લર, કુડાસણ ખાતે પણ સીગારેટના પેકેટ્સ ઉપર એમ.આર.પી. કરતા વધુ ભાવ લેતા હોઈ સદર એકમો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે. તેમણે કહ્યુ કે,નાયબ નિયંત્રક દ્વારા મરી-મસાલાના પેકેટ્સ ઉપર કિંમતમાં છેકછાક અંગે વિશાલ સુપર માર્કેટ, સેક્ટર-06, ગાંધીનગર ઉપર પણ કાર્યવાહી કરાઈ છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાનાં વિવિધ એકમો ખાતે તપાસ કરી એમ.આર.પી. કરતા વધુ ભાવ લેતા 6 એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પાન-મસાલા, ગુટખા, સિગારેટ વગેરેના વેપારી એકમો ખાતે કુલ 500 નિરીક્ષણ કરવામાં આવેલ છે. જેમાં વધુ ભાવ લેવા અંગે કુલ 124 એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સદર બાબતે મદદનીશ નિયંત્રક મહેસાણા દ્વારા 30 એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કુલ રૂ.1,61,000/- ગુન્હા માંડવાળ ફી વસુલ કરેલ છે. અમદાવાદ જીલ્લો કોરોનાના કહેરથી સૌથી વધુ પ્રભાવિત છે તેમ છતાં આ બાબત અંગે 16 એકમો સામે કાયદેસર કાર્યવાહી કરી કુલ રૂ.26,000/- ગુન્હા માંડવાળ ફી વસુલ કરેલ છે.

આ ઉપરાંત ખેડા, વલસાડ તથા જુનાગઢ જીલ્લામાં કુલ 17 એકમો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી કુલ રૂ.34,000/- ગુન્હા માંડવાળ ફી વસુલ કરવામાં આવી છે. આ ઝુબેશ આગામી સમયમા પણ રાજયભરમાં સતત ચાલુ રહેશે. કાનુની માપ વિજ્ઞાાન તંત્ર ગ્રાહકોના હિતમાં કામગીરી કરતું હોઇ વિવિધ ચીજવસ્તુઓમાં એમ.આર.પી. કરતાં વધુ ભાવ લેવા અંગેની ફરિયાદ માટે tolmapahd@gujarat.gov.in પર જાણ કરવા વિનંતી.

Gujarat