વડોદરા: RSSના કાર્યક્રમ બાદ પથ્થરમારો, એક જ કોમના બે જુથ વચ્ચે સામસામે ફરિયાદ
Updated: Jul 5th, 2021
વડોદરા,તા 5 જુલાઈ 2021,સોમવાર
વડોદરા શહેરને અડીને આવેલા સાંકરદા ગામે ગઇરાત્રે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમ બાદ પથ્થરમારો અને હુમલાનો બનાવ બનતા બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે.
સાકરદાની પટેલ ખડકીમાં રહેતા કુણાલ પટેલે પોલીસને કહ્યું છે કે તા 27 જુને વરસાદના કારણે હિન્દુ સામ્રાજ્ય દિવસનો કાર્યક્રમ બંધ રહ્યો હોય ગઇકાલે તારીખ ચોથીએ રાત્રે કૈલાશ નગરીના નાકા પાસે હનુમાન મંદિર પાસે આ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં સ્થાનિક તેમજ બહારગામના સ્વયંસેવકો સામેલ થયા હતા.
કાર્યક્રમ પૂરો થયા બાદ રાત્રે 9:30 એક વાગે સંઘના સ્વયંસેવકો છુટા પડી રહ્યા હતા તે દરમિયાન કેટલાક લોકોએ પથ્થરમારો કરી હુમલો કરતાં સ્વયંસેવકો પોતપોતાની રીતે ચાલ્યા ગયા હતા. આ દરમિયાન મીની નદી તરફ કેટલાક સ્વયંસેવકો બાઈક લઈને જતા ઈશાન મલય પટેલ, શૈલેષ પઢીયાર, શૈલેષ ચાવડા તેમજ સની વાંસફોડા તમામ રહે સાકરદા ઈન્દીરા નગરી એ સ્વયંસેવકોને રોકી માર માર્યો હતો તેમજ એક બાઈકની તોડફોડ પણ કરી હતી.
હુમલાખોરો ખોટા ધંધા કરવાતા હોવાથી તેમણે સંઘના સ્વયંસેવકો પર હુમલો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
સામે પક્ષે સાકરદાની ઈન્દીરા નગરીમાં રહેતા ધ્રુવલ વાંસફોડાએ વટથી ફરિયાદમાં જણાવ્યું છે કે તારીખ ચોથીએ મધરાતે હું બસ સ્ટેન્ડ પાસે હતો તે દરમ્યાન મારા ઘર પાસે આરએસએસના સ્વયંસેવકો ઉભા હતા. તેમાંથી પાંચ જણા એ પથ્થરમારો કરતા હું રોડ તરફ ભાગ્યો હતો. આ અગાઉ ત્રણ માણસો આવ્યા હતા તેને ધોલધાપટ કરી હતી અને તેમાંથી કોઇએ એક બાઇકને નુકસાન કર્યું હતું. આ માણસોએ કુણાલ પટેલના કહેવાથી હુમલો કર્યો હતો. જેમાં વિશાલ ગોહીલ પરમાર તથા જયેશ પરમાર એ મારા ઘર પાસે ગાળો બોલી મારા મિત્ર ઈશાન પટેલને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઝઘડાનું કારણ પંચાયતમાં આરએસએસને આપેલી જમીન ઉપર ફેન્સીંગ બાંધી હોવાથી તેની અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો હતો. નંદેશરી પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીશ ગુના દાખલ કર્યા છે.