ધર્માન્તરણ કિસ્સામાં ફંડિંગના મુદ્દે વડોદરાના આફમી ટ્રસ્ટના ટ્રસ્ટી સલાઉદ્દીનની ઓફિસ અને ફ્લેટ પર દરોડા
Updated: Jul 2nd, 2021
વડોદરાઃ યુપીના ધર્માન્તરણ પ્રકરણમાં ફંડિંગના મુદ્દે વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સલાઉદ્દીન શેખની ઓફિસ અને રહેઠાણ પર યુપી અને ગુજરાત એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
યુપીમાં બળજબરી ધર્માન્તરણ કરવાના ચકચારી પ્રકરણના તાર વડોદરા સુધી જોડાયા છે.આ પ્રકરણમાં વડોદરામાંથી ફંડ મળ્યું હોવાની વિગતો ખૂલતાં યુપી એટીએસ દ્વારા ગુજરાત એટીએસની મદદ લેવાઇ હતી.
યુપી અને ગુજરાત એટીએસ દ્વારા વડોદરામાં બે દિવસ સુધી વોચ રાખવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.મંગળવારે રાતે સલાઉદ્દીન પાણીગેટ ખાતેની ઓફિસમાં હોવાની વિગતોના પગલે વડોદરા એસઓજીની મદદ લઇને તેની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ત્યારબાદ પોલીસની ટીમે આજે ફતેગંજ વિસ્તારના મિશન રોડ સ્થિત કૃષ્ણદીપ ટાવરના ત્રીજા માળે સલાઉદ્દીનના ફ્લેટમાં પણ સર્ચ કર્યું હતું.પોલીસે એક આઇપેડ અને કોમ્પ્યુટર કબજે કર્યા હતા.સલાઉદ્દીનની બાજવા ખાતે ગોળી-બિસ્કિટ જેવી ફૂડ પ્રોસેસિંગની ફેક્ટરી હોવાની પણ માહિતી મળી છે.
બપોરે સલાઉદ્દીનને યુપી લઇ જવામાં આવ્યો હતો.જો કે આ પ્રકરણમાં યુપી એટીએસ દ્વારા કોઇ જ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.