સૌરાષ્ટ્રના મતદારોને વતનમાં લઇ જવા ૬૦૦થી વધુ બસોનું બુકીંગ
સૌરાષ્ટ્રના હજારો મતદારોના મત મેળવવાની રાજકીય પક્ષોમાં હોડ
સુરત-અમદાવાદથી મતદારોને વતનમાં લઇ જવા, રહેવા અને જમવા માટે રાજકીય પાર્ટીઓનું આયોજનઃ મતદારોને રોકડની પણ ઓફર કરવામાં આવી
Updated: Nov 23rd, 2022
અમદાવાદ
ગુજરાત વિધાનસભામાં વધુમાં વઘુ મતદાન થાય તે માટે મતદારોને સુરત અને સૌરાષ્ટ્રમાંથી તેમના વતનમાં લઇ જવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા ૬૦૦થી વધુ ખાનગી લક્ઝરી બસોને અત્યારથી જ બુક કરાવીને તમામ મતદારાની યાદી પણ તૈયાર કરી દીધી છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્માં થનારા મતદાનના દિવસે તમામને મતદાન બાદ પરત લાવવા માટે પણ રાજકીય પાર્ટીઓએ આયોજન કર્યું છે. ખાસ કરીને સુરત અને અમદાવાદમાં રહેતા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા સૌરાષ્ટ્રના લોકો હજારોની સંખ્યામાં રહે છે. જેમનું મતદાન યાદીમાં નામ તેમના વતનમાં છે. સુરતના વરાછા, યોગી ચોક અને અન્ય વિસ્તારોમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં હજારોની સખ્યામાં હીરા ઉદ્યોગ સાથે રહેલા કારીગરો રહે છે. જેમનું મતદાર તરીકેનું નામ આજે પણ તેમના વતનમાં છે. ત્યારે તેમના દ્વારા મતદાન ન થાય તો મતદાન પર અસર થઇ શકે છે. સાથેસાથે રાજકીય પાર્ટીઓને પણ નુકશાન થઇ શકે તેમ છે. જેથી રાજકીય પાર્ટીઓએ સુરત અને અમદાવાદના નરોડા, બાપુનગરથી ૬૦૦થી વધુ બસોને આગામી ૩૦મી નવેમ્બરથી ૨જી ડિસેમ્બર સુધી બુક કરવામાં આવી છે. જેમાં ૩૦મી તારીખે સાંજ સુધીમાં બસોમાં સૌરાષ્ટ્રના વિવિઘ ગામડાઓમાં લઇ જવામાં આવશે. બાદમાં બીજા દિવસે મતદાન કરાવીને તે દિવસે અથવા બીજી ડિસેમ્બરે પરત સુરત અને અમદાવાદ પરત લાવવામાં આવશે. એટલું જ નહી મતદારોને સૌરાષ્ટ્રમાં આવવા બદલે દિવસ પ્રમાણે એક થી બે હજારની રોકડ પણ આપવા માટેનું કહેવામાં આવ્યું છે. આમ, રાજકીય પાર્ટીઓ તેમના મતદારોના મતને મેળવવા માટે અત્યારથી જ માઇક્રો પ્લાનીંગ કરી ચુકી છે.