કોરોનાના લીધે વડાપ્રધાનનો બે દિવસીય ગુજરાત પ્રવાસ રદ
- વધતાં કેસોને કારણે કાર્યક્રમ કેન્સલ
- 21-22મી નરેન્દ્ર મોદી વડોદરા, અમદાવાદ, કેવડિયા કોલોનીનાં કાર્યક્રમમાં હાજરી આપવાના હતા
Updated: Mar 14th, 2020
અમદાવાદ, તા.13 માર્ચ, 2020, શુક્રવાર
દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં ય કોરોનાના પોઝીટીવ કેસો વધી રહ્યાં છે.કોરોનાના વધતા જતા પ્રભાવને જોતાં આગામી 21-22મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ રદ કરી દેવાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 21-22મી માર્ચે ગુજરાતના પ્રવાસે આવવાના હતા. 21મી માર્ચે વડાપ્રધાનના હસ્તે વડોદરામાં ભારત સ્ટેજ બીએસ-સિક્સના ધોરણો મુજબ પેટ્રોલ-ડિઝલનુ લોન્ચિગ કરવાના હતા.
બીજા દિવસે તેઓ જૂનાગઢમાં ખેડૂતોને દિવસે વિજળી આપવાની દિનકર યોજનાનો પ્રારંભ કરવાના હતાં.આ ઉપરાંત નરેન્દ્ર મોદીના હસ્તે કેવડિયા કોલોનીમાં સફારી પાર્ક અને બોટિંગનું ય ઉદઘાટન કરવા આયોજન કરાયુ હતું. સાથે સાથે અમદાવાદમાં યુએન મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટયુટનુ ય ઉદઘાટન યોજવામાં આવ્યુ હતું.
કોરોનાના વધતા જતા પ્રભાવને કારણે દેશમાં સરકારી કાર્યક્રમ રદ કરવામાં આવી રહ્યા છે તે જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ય ગુજરાતનો બે દિવસીય પ્રવાસ હાલપુરતો રદ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત આજે કોરોના વધુ ચાર શંકાસ્પદ કેસો નોંધાયા છે.
અમદાવાદ,જૂનાગઢ અને રાજકોટમાં કોરોના શંકાસ્પદ કેસો નોધાયા છે. એક હજારથી વધુ લોકો આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ રખાયા છે. કોરોનાને લઇને આરોગ્ય વિભાગ ખુબ જ સતર્ક છે. જોકે,ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસનો એકેય પોઝીટીવ કેસ નોંધાયો નથી.