આરોગ્ય અધિકારીઓની નિષ્ક્રિયતાથી ફરસાણ રસિયાના આરોગ્ય સામે ખતરો
તહેવારોની સીઝનમાં પણ એક જ તેલમાં વારંવાર તળવાનું ચાલુ
ગુજરાત સરકાર અને અમ્યુકોના આરોગ્ય અધિકારીઓ સાથેની િંમલીભગતમાં કાયદાની ઐસીતૈસી કરતાં ફરસાર્ણી દુકાનો
Updated: Sep 26th, 2022
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર
એક જ તેલમાં વારંવાર તળીને વાનગીઓ આપવાથી કેન્સર જેવી જોખમી બીમારીઓ થતી હોવા છતાંય અમદાવાદના ગાંઠિયા, ફરસાણ સહિતની તળેલી વસ્તુઓ બનાવીને વેચનારી દુકાનના માલિકો અધિકારીઓની નિષ્ક્રિયતાનો લાભ ઊઠાવીને ખાદ્ય તેલ કદડા જેવું થઈ જાય તેવા તેલમાં તળ્યા જ કરે છે. કાયદાકીયે જોગવાઈ મુજબ વાનગીઓ તળવા માટે ઉપયોગમાં લેવાતા તેલના ટોટલ પોલાર કમ્પાઉન્ટ ૨૫થી વધી જાય તે પછી તે તેલમાં તળીને વાનગી બનાવીને વેચી શકાતી નથી. છતાંય ૭૦થી કે તેનાથીય વધુ ટોટલ પોલાર કમ્પાઉન્ડવાળા અને કદડા જેવા દેખાતા તેલમાં વાનીઓ તળીને વેચવાનું અમદાવાદ ગાંધીનગરમાં સરેઆમ ચાલી રહ્યું છે.
અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના શહેરોમાં ફરસાણની દુકાનવાળાઓ માટે લાગુ કરવામાં આવેલા ટોટલ પોલાર કમ્પાઉન્ડના કાયદાનું છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું હોવાની કિસ્સાઓ બની રહ્યા હોવા છતાંય ફરસાણ બનાવનારાઓ સાથેની મિલીભગતમાં જ કામ કરતાં આરોગ્ય ખાતાના આહાર વિભાગના અધિકારીઓ કોઈ જ પગલાં લેતા નથી. માત્ર દેખાવ પૂરતા પાંચ પંદર કેસ કરીને પોતે સક્રિયા હોવાનો દંભ આચરી રહ્યા છે. આમ અમદાવાદ અને ગુજરાતના શહેરી વિસ્તારની જનતાના આરોગ્ય સાથે ચેડાં કરવામાં ફરસાણ બનાવનારાઓ અને આરોગ્ય અધિકારીઓ મળી ગયા હોવાનો નિર્દેશ મળી રહ્યો છે.
અધિકારીઓ ફરસાણ બનાવનારાઓ સાથેની મિલીભગતમાં કામ કરતાં હોવાથી જ ફરસાણ બનાવનારાઓને કાયદાનો ડર જ લાગતો નથી. તેમ જ આરોગ્ય અધિકારીઓ ટોટલ પોલાર કમ્પાઉન્ડ માપવાના મશીનથી તત્કાળ ચકાસણી કરીને સેમ્પલ લઈને મોકલી આપે તે પછી તે સેમ્પલ લેબોરેટરીમાં પાસ પણ થઈ જાય છે. આમ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે સેમ્પલ પહોંચે અને ખરેખર તેનું ટેસ્ટિંગ થાય તે પૂર્વે જ સેમ્પલ બદલાઈ જતાં હોવાની શક્યતાને પણ નકારી શકતા નથી.
સૌથી વધુ આઘાતજનક બાબત તો એ છે કે દશેરાના તહેવારમાં ફાફડાંના કિલોદીઠ રૃા. ૬૦૦ કે તેનાથીય વધુ ચાર્જ ગ્રાહકો પાસે વસૂલવામાં આવતા હોય છે, પરંતુ ફાફડાં તળવા માટેના તેલમાં કેન્સર થાય તેટલી હદ સુધી ટોટલ પોલાર કમ્પાઉન્ડ વધી ગયા હોય તો પણ તે જ તેલમાં તળીને ગ્રાહકોને તે પીરસી કે વેચી દેવામાં આવે છે.