ત્રણ ખાનગી હોસ્પિટલોના 50 કર્મચારીઓને નોટિસ અપાઈ
- મ્યુનિ. દ્વારા કાર્યવાહી કરાઈ
- કોરોના પેશન્ટોની સારવારનો કેમ ઈન્કાર કરાયો તેનો ખુલાસો કરવા તાકીદ કરાઈ
Updated: Jun 28th, 2020
અમદાવાદ, તા. 28 જૂન, 2020, રવિવાર
કોરોના મહામારીમાં કોવિડ પેશન્ટોની સારવાર કરવાનો ઈન્કાર કરનારા ત્રણ ખાનગી હોસ્પિટલોના 50 કર્મચારીઓને મ્યુનિ.દ્વારા એપેડેમિક એકટ હેઠળ નોટીસ ફટકારી ખુલાસો માંગ્યો હોવાની વિગત બહાર આવી છે.
મળતી માહીતી મુજબ,અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોનાના પેશન્ટોને સારવાર મળે એ હેતુથી મ્યુનિ.દ્વારા એમ.ઓ.યુ.કરવામાં આવ્યા છે.
આમ છતાં મ્યુનિ.ના ધ્યાન ઉપર એવી એક બાબત આવી હતી કે,અમુક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા હાઉસ કીપીંગ,સ્ટાફ નર્સ અને ફર્માસિસ્ટ સહીતના સ્ટાફ દ્વારા કોવિડના પેશન્ટની સારવાર કરવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો.
કેટલાક રજા ઉપર પણ ઉતરી ગયા હોવાની બાબત ધ્યાનમાં આવી હતી. બાદમાં મ્યુનિ.દ્વારા એમ.ઓ.યુ.કરવામાં આવેલી હોસ્પિટલોના સંચાલકો પાસેથી આવા કર્મચારીઓ અંગેની વિગત મંગાવી હતી.
મ્યુનિ.એ તમામ વિગતનો અભ્યાસ કર્યા બાદ સાબમતી વિસ્તારની એક હોસ્પિટલ,પાલડી વિસ્તારની એક હોસ્પિટલ અને અન્ય એક હોસ્પિટલ એમ કુલ મળીને ત્રણ ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા પચાસ કર્મચારીઓને એપેડેમિક એકટ,ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ નોટીસ ફટકારીને તેમણે ચોકકસ કયા કારણોસર કોવિડ પેશન્ટોની સારવારનો ઇનકાર કર્યો હતો તે અંગે નોટીસ ફટકારી હોવાનું મ્યુનિ.ના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.