For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1379 કેસ, સ્વસ્થ થનારા દર્દીઓનો આંકડો 1 લાખની નજીક

Updated: Sep 17th, 2020

Article Content Image

અમદાવાદ, તા. 17 સપ્ટેમ્બર 2020, ગુરુવાર

રાજ્યમાં અનલોક પછી કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1379 નવા કેસ નોંધાયા છે. જ્યારે 14 દર્દીના મોત નીપજ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1379 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 14 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 3273 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1652 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1379 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 171 અને જિલ્લામાં 109 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 151 અને જિલ્લામાં 20 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 86 અને જિલ્લામાં 41 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 99 અને જિલ્લામાં 46 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 96 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 15,911 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 99,808 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3273 થયો છે.

રાજ્યમાં આજે સૌથી વધુ 85,620 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 36,09,808 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આરોગ્ય સચિવ ફરી રાજકોટમાં

રાજકોટમાં કોરોનાએ કેર મચાવ્યો છે ત્યારે આરોગ્ય સચિવ જયંતિ રવિ ફરી રાજકોટ પહોંચ્યા છે. રાજકોટમાં સતત કોરોના પોઝિટિવ કેસો અને મોતના આંકડામાં વધારો જોવા મળતા આરોગ્ય સચિવ જયંતિ રવિ રાજકોટ પહોંચ્યા. જયંતિ રવિએ સિવિલ મેડિકલ કોલેજમાં બેઠકોનો દોર શરૂ કરી સ્થિતિની સમીક્ષા કરી.

ભાજપ કોંગ્રેસના નેતાઓની તબિયેત સુધારા પર

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઇ રહ્યો છે. રાજકોટમાં આવેલા આરોગ્ય સચિવ જયંતિ રવિએ અભય ભારદ્વાજના સ્વાસ્થ્ય અંગે માહિતી આપતા કહ્યું કે અભય ભારદ્વાજને એકમો ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. હજુ પણ 2 થી 3 દિવસ સુધી એકમો ટ્રીટમેન્ટ આપવામાં આવશે. એ સિવાય કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની તબિયત હવે સુધારા પર છે. ભરતસિંહની તબિયતમાં સુધારો થતા હવે તેઓ ધીમેધીમે ચાલતા થયા છે… ઉલ્લેખનીય છે કે ભરતસિંહનો રીપોર્ટ કોરના પોઝીટીવ આવ્યા બાદ તેમની તબિયત વધુને વધુ બગડી રહી હતી જેથી તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.

SVPનાં 30 ડોક્ટરો થયાં સંક્રમિત

કોરોનાના દર્દીઓ ને સારવાર કરતા 30 જેટલા ડોકટર કરોના સંક્રમિત થયાં છે હોવાથી એસવીપી હોસ્પીટલમાં નવા દર્દીઓ દાખલ કરવામાં આવતા નથી. હાલ પંદરસો બેડની કેપેસીટી વાળી હોસ્પિટલમાં ત્રણસો દર્દીઓ સારવાર હેઠળ છે ત્યારે  હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે.

Gujarat