ગાંધીનગરમાં ધરણાં વિરોધ પ્રદર્શનની પરવાનગી ન આપવા માટે આદેશ
ગાંધીનગર વિરોધ પ્રદર્શનનું એપી સેન્ટર બનતા ગૃહ વિભાગનો નિર્ણય
પ્રદર્શન-ધરણાં કરનાર સામે કાર્યવાહી કરવા હુકમ કરાયો
Updated: Sep 23rd, 2022
અમદાવાદ
ગાંધીનગરમાં છેલ્લાં ઘણા સમયથી સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવતા પાટનગર જાણે પોલીસ છાવણીમાં તબદીલ થઇ ગયું છે. ત્યારે વિરોધ પ્રદર્શનને ડામવા માટે ગૃહ વિભાગે ગાંધીનગર પોલીસને ધરણા પ્રદર્શન અંગે કોઇપણ પ્રકારની પરમીશન ન આપવા અને ધરણા પ્રદર્શન કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા પડતર માંગણીઓ અને અન્ય બાબતોને લઇને પાટનગર ગાંધીનગરમાં પોલીસ, આરોગ્ય, આગંણવાડી, શિક્ષણ સહિતના અલગ અલગ વિભાગોના કર્મચારીઓએ પગાર વઘારા સહિતની માંગણીઓને લઇને આંદોલન કરવામાં આવ્યા છે. જેમાં સરકારે અનેક વિભાગોની માંગણી સ્વીકારતા આંદોલન અટક્યા છે.પરંતુ, હજુ પણ અન્ય વિભાગોના કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શનને અટકાવવા માટે ગૃહવિભાગે એક્શન પ્લાન મુક્યો છે. જેમાં વિરોધ ધરણાં પ્રદર્શન માટે પોલીસને પરવાનગી ન આપવા માટે સુચના આપી છે. સાથે સાથે પરવાનગી વિના રેલી પ્રદર્શન ન કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. આ માટે ખાસ પોલીસનો વધારાનો સ્ટાફ પણ બંદોબસ્ત માટે મુકાયો છે. જો કે પોલીસની પરવાનગી વિના ગાંધીનગરમાં આજે એલઆરડી મહિલાઓએ રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસે ૯૦ થી વધુ પ્રદર્શનકારીઓની અટાયકત કરવામાં આવી હતી.