છુટાછેડા બાદ પણ પતિ અગાઉની પત્ની અને દીકરી સાથે સંબંધ રાખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો
Updated: Jul 9th, 2021
વડોદરા, 9 જુલાઇ 2021 શુક્રવાર
છુટાછેડા બાદ પણ પતિ અગાઉની પત્ની અને દીકરી સાથે સંબંધ રાખવા મામલે પત્નીએ પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે પતિ વિરુદ્ધ મારામારી અને સ્ત્રી અત્યાચારની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેર વાઘોડિયા રોડ ઉપર રહેતા શોભનાબેન સારસ્વરએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પતિ શશીભાઇ સારસ્વર ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. મારા પ્રથમ લગ્નજીવન દરમિયાન પતિનું અકસ્માતમાં મોત નિપજતા શશી ભાઈ સાથે વર્ષ 2019 માં બીજા લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્ન થકી સંતાનમાં 17 વર્ષનો પુત્ર છે.
જ્યારે મારા પતિના અગાઉ છૂટાછેડા બાદ મારી સાથે બીજા લગ્ન છે અને તેમને પણ સંતાનમાં દીકરી છે. જેથી મારા દીકરાની તમામ જવાબદારી ઉપાડવી , પ્રોપર્ટી કાર્ડમાં મારુ નામ ઉમેરવું તથા અગાઉની પત્ની અથવા દીકરી સાથે કોઈ પણ પ્રકારનો સબંધ રાખવો નહીં તેવી શરત બાદ લગ્ન કર્યા હતા. મારા પતિ કોઈકને કોઈક બહાના હેઠળ અગાઉ ની પત્ની તેમજ દીકરીને મળવા જાય છે તેમજ પ્રોપર્ટીમાં નામનો ઉમેરો કરવામાં ખોટા ખોટા બહાના કાઢી ઝઘડો કરી શારીરિક અને માનસિક ત્રાસ આપે છે.