લગ્નમાં 400ને જ મંજૂરી અને ભાજપ સ્નેહમિલનમાં હજારોની ભીડ
Updated: Nov 24th, 2021
કાયદો માત્ર આમ જનતા માટે જ, ભાજપને નડતો નથી
કોરોના વકરવાની આશંકા વચ્ચે સુરતમાં ભાજપના નેતા- કાર્યકરો બેફામ, માસ્ક-સોશિયલ ડિસટન્સના નિયમોનો સરેઆમ ભંગ : ભાજપ માટે સત્તાનું કેન્દ્ર ગાંધીનગરથી બદલાઇને હવે સુરત
અમદાવાદ : એક બાજુ , રાજ્ય આરોગ્ય વિભાગ કોરોનાથી સતર્ક રહેવા લોકોને અપીલ કરી રહ્યુ છે. તો બીજી તરફ, ખુદ ભાજપની નેતાગીરી જ એવુ પ્રસૃથાપિત કરી રહી છે કે જાણે ગુજરાતમાં કોરોનો છે જ નહીં.
કોરોનાને કારણે જ લગ્ન પ્રસંગે 400 જણાંને મંજૂરી અપાઇ છે જયારે ભાજપના દિવાળીના સ્નેહ મિલનમાં હજારોની ભીડ એકત્ર િથ રહી છે. આમ, ગુજરાતમાં કાયદા જાણે આમ જનતા માટે જ છે.ભાજપના કાર્યકરોને કાયદા લાગુ પડતાં જ નથી.
કોરોનાની બીજી લહેર ગુજરાત માટે ઘાતક પુરવાર સાબિત થઇ હતી કે, કેટલાય લોકોએ જાન ગુમાવ્યા છે. વિદેશોમાં તો ફરી એકવાર કોરોનાએ ઘાતક સ્વરૂપ ધારણ કર્યુ છે. ભારતમાં ય નિષ્ણાતો કોરોનાથી સતર્ક રહેવા સલાહ આપી રહ્યા છે. ગુજરાતમાં હજુ ઘણી મોટી સંખ્યામાં લોકોએ રસીનો બીજો ડોઝ લીધો નથી.
આ પરિસ્થિતીમાં તબીબો કોરોના ફરી વકરે તેવી દહેશત વ્યક્ત કરી રહ્યા છે પણ ભાજપના પ્રદેશ નેતાઓને વિધાનસભાની ચૂંટણી જીતવામાં રસ જાગ્યો છે જેથી દિવાળી સ્નેહમિલનના માધ્યમથી કાર્યકરોની ભીડ એકત્ર કરવામાં આવી રહી છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પણ સ્નેહમિલનમાં ભાજપના કાર્યકરોની ભીડ એકત્ર કરાઇ હતી.
મ્યુનિ.શાળાના શિક્ષકોને ફરજિયાત હાજર રાખીને સંખ્યા વધારાઇ હતી. આખાય સ્નેહમિલન કાર્યક્રમમાં કોઇના મોઢા પર માસ્ક ન હતાં. સોશિયલ ડિસટન્સના નિયમો પણ નેવે મૂકાયા હતાં. સુરતમાં ય આ જ પરિસ્થિતી સર્જાઇ હતી. દરેક જિલ્લામાં દિવાળી સ્નેહ મિલનમાં આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકોમાં ચર્ચા છેકે, નિયમો-કાયદા માત્ર સામાન્ય જનતા માટે જ છે.
ભાજપના નેતા-કાર્યકરોને કાયદો નડતો જ નથી. ગુજરાતની જનતા પાસેથી માસ્કના નામે કરોડો રૂપિયા ઉઘરાવનાર પોલીસ પણ ભાજપના દિવાળી સ્નેહ મિલનમાં માત્ર તમાશો નિહાળે છે. ભાજપના નેતા કે કાર્યકરોએ માસ્ક પહેંર્યા ન હોય. હજારોની ભારે ભીડ એકત્ર કરી સોશિયલ ડિસટન્સના નિયમોના ધજાગરા ઉડાડયા હોય છતાંય પોલીસ મૂકપ્રેક્ષક બનીને બેસી રહે છે.
જયારે આમજનતા કોઇ નિયમનો ભંગ કરે તો આ જ પોલીસ દંડ ફટકારવામાં ઉત્સાહ દેખાડે છે. ટૂંકમાં, ભાજપ હજારોની ભીડ એકત્ર કરે,રેલીઓ કાઢે તો નિયમનો ઉલ્લઘંન નહી પણ લગ્ન પ્રસંગ હોય તો 400થી વધુ વ્યક્તિ હોવા જોઇએ નહીં. આમ, ચૂંટણી જીતવાની લ્હાયમાં નિયમોનું ઉલ્લઘંન કરી ભાજપ જ કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપી રહી છે.
સ્નેહ મિલનના નામે શક્તિ પ્રદર્શન
સુરતમાં આજે જેમાં હજારોની ભીડ એકઠી કરાઈ તે વાસ્તવમાં સ્નેહમિલનના નામે શક્તિ પ્રદર્શન હતું. રાજ્યમાં બીજે સંમેલનો થયાં તે બંધ બારણે, હોલમાં થયાં હતાં. અમદાવાદમાં ખુલ્લામાં રિવરફ્રન્ટ પર 10 હજારની ભીડ એકઠી થઈ હતી તે પછી સુરતમાં ત્રીસ હજારથી વધુ લોકોને ભેગા કરાયા હતા.
1000થી વધુ પોલીસનો કાફલો
સુરતમાં યોજાયેલા સંમેલનમાં એટલી મોટી સંખ્યા એકઠી કરાઈ હતી કે શહેરમાં બંદોબસ્ત જાળવવા એક હજારથી વધુ પોલીસ મૂકવી પડી હતી. નોંધપાત્ર બાબત એ છે કે, માસ્ક ન પહેર્યું હોય તો સામાન્ય પ્રજાને દંડતી પોલીસ માસ્ક વગરના સેંકડો કાર્યકરોની વ્યવસૃથામાં તૈનાત હતી.
લઘુભારત સુરતમાં ભાજપનો વિજય દેશમાં વિજયનો મેન્ડેટ : અમિત શાહ
સુરતમાં તમામ ધર્મ-સમાજના લોકો વસે છે તેથી તે લઘુભારત છે. સુરતમાં ભાજપનો વિજય એ સમગ્ર દેશમાં વિજય માટેનો મેન્ડેટ છે એમ આજે સુરત ભાજપના સ્નેહમિલન સમારોહમાં વર્ચ્યુઅલી જોડાયેલા કેન્દ્રી ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું.
ભાજપના કાર્યકરો ભાજપના માલિક છે અને કાર્યકરોની મહેનત અને ભાજપના સંગઠનને કારણે છેલ્લા 31 વર્ષ કરતા વધુ સમયથી સુરત અને ગુજરાતમાં ભાજપનો સતત વિજય થઇ રહ્યો છે. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના પછી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પગલાં ભરવામાં આવ્યા છે તેના કારણે આર્થિક ગતિવિધી ખુબ તેજીથી આગળ વધી રહી છે.
તેના કારણે બધાજ રેકર્ડ જીએસટી કે અન્ય હોય એક પછી એક તોડી શકીએ તેવી સ્થિતિમાં પહોંચ્યા છે તેમાં સુરતનું મોટું યોગદાન છે. આગામી દિવસોમાં ભારતમાં પાંચ ટ્રીલીયન ડોલરની ઈકોનોમી બનવાનો લક્ષ્યાંક છે તેમાં પણ સુરતનું ઘણું મોટું યોગદાન રહેશે. સ્વસ્છતા સર્વેક્ષણમાં હવે સુરતનો પહેલો નંબર આવે તે માટે આજે આપણે સંકલ્પ કરવાનો છે.
2022ની ગુજરાત વિધાનસભાની ચુંટણી અંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના સંગઠન અને ગુજરાતના મુખ્યમંત્રીએ 182 બેઠકો જીતવા જે લક્ષ્ય રાખ્યું છે તે પુરૂ કરવા સહયોગ આપીએ. આઝાદી પછીની સૌથી વધુ બહુમતીથી ભાજપની સરકાર બને સી.આર. પાટીલ અને ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બધા જ રેકર્ડ તુટે તેવી રીતે કામ કરવા તેમણે કાર્યકરોને હાકલ કરી હતી.
આગામી ચૂંટણીમાં 182 બેઠકો જીતવા ઉતરવાનું છે: ભુપેન્દ્ર પટેલ
2022ની ચૂંટણીંમાં કોઇને હરાવવા નહી પણ તમામ 182 બેઠકો જીતવા માટે ઉતરવાનું છે એમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્નેહમિલનમાં જણાવ્યું હતું. ભાજપના સૌથી મોટા સ્નેહમિલનમાં ગદગદ થઇ તેમણે કહ્યું હતું કે, સુરતની પ્રજાએ આજે મુખ્યમંત્રી તરીકે મારો વટ પાડી દીધો છે તમે ગાંધીનગર આવો તમારો વટ પાડી દઇશ.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરતના સ્નેહ મિલન સમારોહમાં જણાવ્યું હતું કે, આપણેકોઈને હરાવા માટે નથી જવાનું પરંતુ આપણે જીતવા માટે જન્મ લીધો છે તેથી આપણે કોઈને હરાવવાનું નથી પરંતુ 182 તમામ સીટ આપણે જીતવાની વાત છે. આ માટે પેજ પ્રમુખ, કમિટિ, બુથ સમિતિ, મંડળ સમિતિ બધી જ યોજનાઓ દરેકે સારી રીતે બનાવી છે અને દરેક કાર્યકર્તા સક્રિય રીતે ભાગ ભજવી રહ્યો છે. આ જોતાં આપણને જે રિઝલ્ટ જોઈએ તે 2022માં આપણને મળવાનું છે.
કાર્યકરોની ભૂલો છતાં લોકો નરેન્દ્ર મોદીને જોઇને ભાજપને મત આપે છે : પ્રદેશ પ્રમુખ
ભાજપના કાર્યકર તરીકે નાની મોટી ભૂલ કરતા હોઇએ, પરંતુ એ ભુલોને માફ કરીને મતદારો, લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ જોઇને આપણને મત આપે છે. આજે સુરતના અભુતપૂર્વ કાર્યક્રમ ઉપર આખું ગુજરાત મીંટ માંડીને બેઠું હતું.
સુરતના કાર્યકરોએ ડિસેમ્બર- 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આ સ્નેહમિલન કાર્યક્રમ કરીને ગુજરાતના લોકોને એક મેસેજ આપી દીધો છે એમ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કાર્યકરોને પાનો ચડાવતા જણાવ્યું હતું.
સ્નેહમિલનમાં તેમણે કહયુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2002 થી જે અશ્વમેઘ યજ્ઞા શરૂ કર્યો હતો. તે આખા દેશમાં ફરી રહ્યો છે. આખા દેશમાં કોઇ પાર્ટીની તાકાત નથી કે રોકી શકે. કેમકે આ અશ્વની રક્ષા કાર્યકરોરૂપી સૈનિકો કરી રહ્યા છે. ભાજપના કાર્યકરોને લોકોનું સર્મથન છે. એનું મુખ્ય કારણ વડાપ્રધાન છે. લોકોને તેમના પર ખૂબ વિશ્વાસ છે. એમની પાસે જે અપેક્ષાઓ છે એ પૂર્ણ કરવા ભાજપના કાર્યકરો તત્પર છે.