બીજુ સત્ર શરૂ થનાર છે તેમ છતાં 9થી12માં કોર્સ ઘટાડો અનિર્ણિત
Updated: Nov 19th, 2021
અમદાવાદ : સ્કૂલોમાં દિવાળી વેકેશન પુરૂ થનાર છે અને બીજુ શરૂ આવ્યુ છે તેમ છતાં પણ હજુ સુધી સરકાર દ્વારા ધો.9થી12માં કોર્સ ઘટાડા મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી. જેને લઈને બોર્ડના અધિકારીઓથી માંડી વિદ્યાર્થીઓ,વાલીઓ અને સ્કૂલો પણ મુંઝવણમાં છે.
ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી પુર્ણ થવા સાથે નવા સભ્યો નિમાયાને એક મહિનાથી વધુનો સમય થઈ ગયો છે તેમ છતાં હજુ પણ શિક્ષણ સમિતિ,નાણા સમિતિ, પરીક્ષા સમિતિ અને કારોબારી સમિતિ સહિતની ચારેય સમિતિ રચાઈ નથી.
બોર્ડમાં આ ચારેય સમિતિઓ દ્વારા જરૂરી નિર્ણયો લેવામા આવે છે.અગાઉ બોર્ડે 2જી નવેમ્બરે બોલાવેલી સામાન્ય સભા પણ સભ્યોની માંગને પગલે મોકુફ થયા બાદ હજુ સુધી મળી નથી.બીજી બાજુ ધો.9થી12માં કોર્સ ઘટાડાને લઈને કોઈ નિર્ણય પણ હજુ લઈ શકાયો નથી.
સરકાર દ્વારા આ મુદ્દે કોઈ કમિટી પણ રચાઈ નથી કે બોર્ડને આ મુદ્દે કોઈ સૂચના આપી સ્પષ્ટતા પણ કરાઈ નથી.સીબીએસઈ દ્વારા જ્યાં પહેલેથી જ સ્પષ્ટતા કરી દેવાઈ છે કે 30 ટકા કોર્સ ઘટાડી પરીક્ષાઓ લેવામા આવશે પરંતુ ગુજરાત બોર્ડના કોર્સમાં ઘટાડાને લઈને કોઈ નિર્ણય ન લેવાતા ઓલ ગુજરાત વાલી મંડળે પણ આ મુદ્દે તાકીદે નિર્ણય લેવા માંગ કરી છે.
કારણકે પ્રથમ સત્ર પરીક્ષા પુરી થયા બાદ હવે બીજુ સત્ર શરૂ થનાર છે અને વિદ્યાર્થીઓ તેમજ સ્કૂલ શિક્ષકો પણ મુંઝવણમાં છે.બોર્ડના પ્રશ્નપત્રો પણ કોર્સ ઘટાડાને આધારે તૈયાર થતા હોય છે ત્યારે હવે સરકારે કોર્સ 30 ટકા ઘટાડવો કે નહી તે મુદ્દે ત્વરીત નિર્ણય જાહેર કરવો પડશે.