પ્રાથમિકમાં કોમન પરીક્ષા અને બાહ્ય મૂલ્યાંકનનો નિર્ણય રદ કરવા માંગ
સરકારે પ્રાથમિક શિક્ષકોની વિશ્વસનિયતા સામે શંકા કરીઃપ્રા.શિક્ષક સંઘ અને મ્યુ.શિક્ષક મંડળની રજૂઆત
સરકારી સ્કૂલો બાદ કોર્પો.ની સ્કૂલોના શિક્ષકો દ્વારા રજૂઆત
Updated: Oct 10th, 2018
અમદાવાદ,બુધવાર
સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી અને કોર્પોરેશન હેઠળની પ્રાથમિક સ્કૂલોમાં ધો.૩થી૮માં કોમન પરીક્ષા લેવાનો અને બાહ્ય શિક્ષકો પાસે સુપરવિઝન તેમજ ઉત્તરવહી મૂલ્યાંકન કરાવવાનો આદેશ કરતો પરિપત્ર કરવામા આવ્યો છે.જેને લઈને પ્રાથમિક શિક્ષક સંઘે અને અમદાવાદ મ્યુનિ.શિક્ષક મંડળે શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપી આ પરિપત્ર પાછો ખેંચવાની ઉગ્ર માંગ કરી છે.
રાજ્યની તમામ ડીપીઓ હેઠળની સરકારી સ્કૂલોના શિક્ષકોના પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ પરિપત્ર થયાના બીજા જ દિવસે શિક્ષણમંત્રી સાથે મુલાકાત કરી હતી. પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણમંત્રીને આ પરિપત્રની જોગવાઈઓમાં ફેરફાર કરવાની માંગ કરી હતી અને બાહ્ય સુપરવિઝન તેમજ બાહ્ય મૂલ્યાંકન કરવાની કોઈ જરૃર ન હોવાનું જણાવ્યુ હતું. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળે પણ શિક્ષણમંત્રીને લેખિત ફરિયાદ કરીને આ પરિપત્રમાં ફેરફારો કરવાની માંગ કરી છે.પ્રાથમિક શિક્ષક સંઘ અને મ્યુનિ.શિક્ષક મંડળમાં સરકારના આ પરિપત્રમાં ઉગ્ર રોષ ફેલાયો છે કારણકે શિક્ષકોની ફરિયાદ છે કે સરકારે પ્રાથમિક શિક્ષકોની વિશ્વસનિયતા સામે શંકા કરી છે.
આ રીતે બાહ્ય શિક્ષકો પાસે સુપરવિઝન કરાવી અને બાહ્ય મુલ્યાંકન કરાવીને સરકાર શું સાબીત કરવા માંગે છે ? અમદાવાદ મ્યુ.શિક્ષક મંડળની રજૂઆત છ ેકે આ રીતે એક સ્કૂલના શિક્ષકોને બીજી સ્કૂલમાં સુપરવિઝન માટે ફેરબદલી કરાતા અને બાહ્ય મૂલ્યાંકન માટે મોકલવામા આવતા બાળકોના અભ્યાસ પર સીધી અસર પડશે.
વધુમા શિક્ષકોને ત્રણ જ દિવસમાં પરિણામ તૈયાર કરવાનો આદેશ કરાયો છે જેને પણ શિક્ષકોને હેરાન-પરેશાન થશે.કારણકે સરકારના કોઈ પણ વિભાગ દ્વારા કોઈ પણ યોજનામાં ત્રણ દિવસમાં કામગીરી પુરી થતી નથી તો શિક્ષકો પાસે કેમ આટલી બધી અપેક્ષા રખાય છે.