ઉમિયા ધામ ખાતે 1500 કરોડના પ્રોજેક્ટનું શનિવારે ભૂમિપૂજન
Updated: Nov 18th, 2021
મુખ્યમંત્રી દ્વારા 20મીએ ભૂમિપૂજન
કેરિયર ડેવલપમેન્ટ, હોસ્ટેલ, પાર્ટી પ્લોટ-બેન્ક્વેટ હોલ સહિતની સુવિધાઓ હશે
અમદાવાદ : શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા અમદાવાદ ખાતે મા ઉમિયાધામનું નિર્માણ થઇ રહ્યું છે. 74 હજાર ચોરસવાર જગ્યામાં રૂ. 1500 કરોડના ખર્ચના આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન 20 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા અમદાવાદમાં ધર્મસંકુલ, શિક્ષણસંકુલ, આરોગ્ય સંકુલ, પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલ, ભોજનાલય, વિશ્રાંતિ ગૃહ જેવા વિવિધ વિભાગોનું ઉમિયાધામ ખાતે નિર્માણ થઇ રહ્યું છે. મા ઉમિયાના મંદિરની ઈંતેજારી આ ધર્મસંકુલથી પૂર્ણ થશે. જીપીએસસી, યુપીએસસી જેવી સ્પર્ધાત્મક તૈયારી માટે ઉમિયા કરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલનું નવિન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાશે.
કુલ 13 માળની ઈમારતમાં 400થી વધુ રૂમમાં 1200થી વધારે વિદ્યાર્થી-વિદ્યાર્થિની રહી શકે તેવી અત્યાધુનિક હોસ્ટેલ સાથે વર્કિંગ ભાઇ-બહેનો માટે હોસ્ટેલનું નિર્માણ થશે. અત્યાધુનિક પાર્ટી પ્લોટનું પણ નિર્માણ કરાશે. 20 નવેમ્બરે યોજાનારા ભૂમિપૂજનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.