અમદાવાદ જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ 14 કેસ મળ્યા
- ધોળકા, દસક્રોઇ, સાણંદમાં સંક્રમણ વધ્યું
- દેત્રોજ, ધોલેરા, માંડલમાં સંક્રમણ પર કાબૂ મેળવાયો, બાવળા, વિરમગામમાં કેસ વધવાની શક્યતા
Updated: Jun 29th, 2020
અમદાવાદ,તા.29 જુન 2020, સોમવાર
અમદાવાદ જિલ્લામાં સોમવારે કોરોના પોઝિટિવના વધુ ૧૪ કેસ સામે આવ્યા હતા. ધોળકા-સાણંદમાં ૪-૪, બાવળામાં ૧, દસક્રોઇમાં ૩ અને વિરમગામમાંથી વધુ ૨ પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. જિલ્લામાં કોરોના સંક્રમણના કુલ કેસની સંખ્યાનો આંકડો ૮૧૪ સુધી પહોંચી ગયો છે.
સાણંદમાં નાની ગોલવાડ, ખોડિયાર મંદિર પાસે, રાજશ્રી, સોમનાથ સોસાયટી, વાસણા ઇયાવા પાસે અજન્તા એસ્ટેટ કોલોનીમાંથી મળીને વધારાના ૪ કેસ નોંધાયા હતા. ધોળકામાં સંક્રમણ હજુ અટકવાનું નામ લેતો ન હોય તેમ સોમવારે પણ ત્યાંથી શેઋન્જય નગર સોસાયટી, ખીજડા સ્ટ્રીટ, માગિયામાં સાઇ દર્શન સોસાયટી અને હરિઓમ નગરમાંથી ૪ કેસ કોરોના પોઝિટિવના મળી આવ્યા હતા.
બીજી તરફ દસક્રોઇ તાલુકામાં અસલાલીમાં સ્વામિનારાયણ સોસાયટી, બારેજામાં એએમડી બાગ, લપકામણમાં શીલ્પગ્રામ-૩ માં સરગમ વિલામાંથી કેસો સામે આવ્યા છે. વિરમગામમાં પોલીસ લાઇન અલીગઢ, લોખંડના દરવાજા પાસે ફાનસિયા ફળીમાંથી કેસ મળ્યા હતા. જ્યારે બાવળામાં શ્રીનંદ પાર્કમાં એક કેસ નોંધાવા પામ્યો હતો.
જિલ્લામાં ધોળકામાં ૨૪૬, દસક્રોઇમાં ૧૭૬ અને સાણંદમાં ૧૬૦ કુલ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. આ ત્રણ તાલુકામાં સંક્રમણ વધતું જઇ રહ્યું છે. બાવળામાં ૭૯ અને વિરમગામમાં ૮૬ કેસને જોતા એક અઠવાડિયામાં આ બંને તાલુકામાં સંક્રમણની સંખ્યા ૧૦૦ને પાર થવાની શક્યતા છે.
દેત્રોજ, ધોલેરા અને માંડલમાં સંક્રમણ અટકી ગયું છે. જિલ્લામાં કોરોનાએ અત્યાર સુધીમાં ૫૪ લોકોનો ભોગ લઇ લીધો છે.