આખરે અનામત આંદોલન સમેટાયું, અન્ય આંદોલનો જારી
- મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આંદોલનકારીઓને મનાવી લીધા
- 'ટાટ'ના અને આદિવાસી આંદોલનકારીઓ પોતાની માંગ પર અડગ રહ્યાં, એલઆરડીની ભરતી વિવાદ પર પૂર્ણવિરામ
આદિવાસી આંદોલન થાળે પાડવામાં વનમંત્રી ગણપત વસાવા નિષ્ફળ રહ્યા, રાજ્ય સરકાર હજુય મૂંઝવણમાં
અમદાવાદ, તા. 19 ફેબ્રૂઆરી, 2020, બુધવાર
75 દિવસના અંતે આખરે અનામત આંદોલન સમેટાયુ છે. એલઆરડીની ભરતીમાં હવે વિવાદ પર પૂર્ણવિરામ મૂકાયું છે.ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અનામત આંદોલનકારીઓ સાથે વાટાઘાટો કરી ખાતરી આપતાં આંદોલન સમેટાયુ છે જેના કારણે એક આંદોલન થાળે પાડવામાં સરકારને સફળતા મળી છે.
જોકે, હજુય સત્યાગ્રહ છાવણીએ ટાટ,આદિવાસી આંદોલન યથાવત રહ્યુ છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પહેલાં જ આંદોલન થાળે પાડવા રાજ્ય સરકારે છેલ્લી ઘડીના પ્રયાસો જારી રાખ્યા છે.
એલઆરડીની ભરતીમાં રાજ્ય સરકારે બેઠકો વધારી નવી ફોર્મ્યુલા આધારે ભરતી કરવા નક્કી કર્યુ હતુ જેના કારણે બિન અનામત વર્ગના ઉમેદવારો માની ગયા હતાં પણ અનામત વર્ગની મહિલા ઉમેદવારોએ એક જ જીદ કરી હતી કે, જયાં સુધી તા.1.-8-18નો પરિપત્ર રદ ન થાય ત્યાં સુધી આંદોલન જારી રહેશે.
આજે ગાંધીનગરમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અનામત વર્ગની મહિલા ઉમેદવારો સાથે બેઠક યોજી ઠરાવ અંગેની અસમંજસતાને દૂર કરી હતી. મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટપણે જણાવ્યુ હતુંકે, અનામતની નીતિનો સંપૂર્ણપણે અમલ થશે. તા.1-8-18ના પરિપત્રનો અમલ કરાશે નહીં. 2400થી વધુ બેઠકો વધારી કોઇપણ વર્ગને નુકશાન ન જાય તે માટે રાજ્ય સરકાર કટિબધૃધ છે.
કોર્ટમાં ય કોઇ કાનૂની અવરોધ ઉભો નહી થાય. આ ખાતરી બાદ આંદોલનકારીઓ આંદોલન સમેટી લીધુ હતું. આમ,એલઆરડીની ભરતીના વિવાદ પર હવે પૂર્ણવિરામ મૂકાયુ છે.
આ તરફ, હજુય સત્યાગ્રહ છાવણીએ આદિવાસીઓ અનામતના ખોટા પ્રમાણપત્ર રદ નહી થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે તેવી જીદ લઇને આંદોલન કરી રહ્યાં છે. આદિવાસીઓએ 26મીએ તીર કામઠા સાથે વિધાનસભાને ધેરવા તૈયારીઓ કરી છે ત્યારે સરકારે વનમંત્રી ગણપત વસાવાને આંદોલન થાળે પાડવા જવાબદારી આપી છે.
જોકે, અગાઉ પણ એક બેઠક યોજાઇ હતી જેમાં કોઇ નિષ્કર્ષ આવ્યુ ન હતું. ટાટના ઉમેદવારો પણ શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે આંદોલન કરી રહ્યાં છે. આમ,મુખ્યત્વે અનામત આંદોલન સમેટાઇ જતાં સરકારે રાહતનો શ્વાસ લીધો છે.