અમદાવાદમાં હજુ આગામી ચાર દિવસ વરસાદની સંભાવના નહિવત્
- ઉકળાટ-બફારાથી લોકો ત્રસ્ત
- સાબરકાંઠા-દાહોદ-વલસાડ-દમણ-જુનાગઢ-અમરેલીમાં બુધવારે ભારે વરસાદની વકી
Updated: Jun 28th, 2020
અમદાવાદ,રવિવાર
અમદાવાદમાં વરસાદે
છેલ્લા ચાર દિવસથી લીધેલા વિરામ બાદ બફારા-ઉકળાટનું પ્રમાણ યથાવત્ છે અને આ અકળાવતી
ગરમી હજુ પણ સહન કરવી પડી શકે છે. હવામાનની હાલની સ્થિતિ પ્રમાણે આગામી ગુરુવાર સુધી
વરસાદની સંભાવના નહિવત્ છે.
અમદાવાદના વાતાવરણમાં
ભેજનું પ્રમાણ સવારે ૭૨% -સાંજે ૪૯% જ્યારે સરેરાશ મહત્તમ તાપમાન ૩૮.૭ ડિગ્રી નોંધાયું
હતું. આગામી બે દિવસ દરમિયાન અમદાવાદના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે
છે. આગામી મંગળવારથી ગુરુવાર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. હાલની સ્થિતિ પ્રમાણે
આગામી શુક્રવાર-શનિવારે વરસાદ પડે તેની સંભાવના
છે. ૅહવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે જુલાઇ માસના પ્રથમ સપ્તાહ સુધી અમદાવાદમાં
વરસાદની કોઇ શક્યતા નથી.
આમ, અમદાવાદને
વરસાદ માટે હજુ રાહ જોવી પડી શકે છે. દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બુધવારે
સાબરકાંઠા, દાહોદ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલીમાં ભારે વરસાદ પડી
શકે છે. દરમિયાન રાજ્યના અન્ય શહેરમાંથી ડીસામાં ૩૯, ગાંધીનગરમાં ૩૭.૫, વડોદરામાં ૩૭.૮,
સુરતમાં ૩૪, અમરેલીમાં ૩૭.૬, ભાવનગરમાં ૩૭.૧, રાજકોટમાં ૩૯.૭, દીવમાં ૩૪.૭, સુરેન્દ્રનગરમાં
૩૯.૮, ભૂજમાં ૩૭.૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.