અમદાવાદથી સોમવારે 8 સ્પેશિયલ ટ્રેનો ઉપડી, મુસાફરોને મોટી રાહત
- અમદાવાદથી 9,810 યાત્રીઓએ મુસાફરી આરંભી
- રેલવે સ્ટેશને મુસાફરોની ભીડ જામી, સ્ક્રીનિંગ, સેનેટાઇઝ માટે ઓટોમેટિક મશીનો મૂકાયા
Updated: Jun 1st, 2020
અમદાવાદ,તા.1 જુન 2020, સોમવાર
અમદાવાદ રેલવે સ્ટેશનેથી તા.૧ જુનને સોમવારે ૮ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. આ ટ્રેનોમાં કુલ ૯,૮૧૦ મુસાફરોએ અમદાવાદથી તેમની મુસાફરીનો આરંભ કર્યો હતો. જેને લઇને અમદાવાદ સ્ટેશને ભારે ભીડ એકત્ર થઇ ગઇ હતી. જેને કાબૂમાં લેવામાં, સ્ક્રીનિંગ, સેનેટાઇઝ , સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવામાં રેલવે સુરક્ષાકર્મીઓના નાકે દમ આવી ગયો હતો.
સોમવારે અમદાવાદ રેલવે સ્ટેશનેથી મુંબઇ સેન્ટ્રલ, હઝરત નિઝામુદ્દીન, દિલ્હી, નવી દિલ્હી, વારાણસી, પટના, ગોરખપુર અન ે મુઝફ્ફરપુર માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી.
અમદાવાદના ડીઆરએમ દિપકકુમાર ઝા ના જણાવ્યા મુજબ અમદાવાદ રેલવે સ્ટેશનેથી આ પેસેન્જર ટ્રેનોને સ્પેશિયલ ટ્રેનના રૂપમાં દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેનો સાબરમતી અને મણિનગર સ્ટેશન પર રોકવામાં નહીં આવે. સ્ટેશન પર હેલ્થ પ્રોટોકોલનું પુરેપુરૂ પાલન કરવામાં આવશે.
અમદાવાદ સ્ટેશને મુસાફરોના સ્ક્રીનિંગ માટે ઓટોમેટિક ટેમ્પરેચર સ્ક્રીનિંગ પોઇન્ટ મૂકવામાં આવ્યું છે. ઝડપી અને સચોટ ટેમ્પરેચર માપવા માટે તે ઉપયોગી છે. ટેમ્પરેચર વધુ હશે તેમજ માસ્ક પહેર્યું નહીં હોય તો પણ મશીન એલર્ટ કરશે. કોમ્પ્યુટર રેકોર્ડ પણ રાખવામાં આવશે.
ઓટોમેટિક સેનેટાઇઝ મશીન પણ મૂકાયું છે.સ્પેશિયલ ટ્રેનોમાં રિઝર્વેશન ટિકિટ વાળા તેમજ આરએસી ટિકિટવાળાઓ જ મુસાફરી કરી શકશે. વેઇટિંગ લિસ્ટવાળાઓને ટ્રેનનમાં બેસવા નહીં દેવાયા