ત્રણ ટ્રેનમાંથી 15 મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યાં
- નવા આઠ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં
- નદીપારના વિસ્તારોમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ, નવા પાંચ સ્થળ નિયંત્રિત
Updated: Sep 15th, 2020
અમદાવાદ, તા. 15 સપ્ટેમ્બર, 2020, મંગળવાર
શહેરમાં મંગળવારે નવા આઠ સ્થળ કોરોના કેસની સંખ્યાના આધારે માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.કાલુપુર રેલવે સ્ટેશને ત્રણ ટ્રેન દ્વારા આવેલાં 1628 મુસાફરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવતા 15 મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
અગાઉના 378 માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળમાંથી 18 સ્થળમાં કોરોના કેસ નિયંત્રિત થતાં નિયંત્રણ દુર કરાયા છે.મંગળવારે નવા ઉમેરવામાં આવેલાં આઠ સ્થળ પૈકી ત્રણ દક્ષિણ ઝોનના,બે પશ્ચિમ ઝોનના,બે ઉત્તર-પશ્ચિમ ઝોનના જયારે એક દક્ષિણ-પશ્ચિમ ઝોનના સ્થળનો સમાવેશ થાય છે.
દક્ષિણી સોસાયટી ગણપતિગલીમાં આવેલા સાઈબાબા પ્લાઝા એપાર્ટમેન્ટ, વટવાના આઝાદ ચોક,કૃષ્ણબાગના કાલિંદ એપાર્ટમેન્ટના સંક્મણવાળા વિસ્તારને નિયંત્રિત જાહેર કરાયા છે.
ચાંદલોડિયા વોર્ડના અદાણી પ્રથમ અને ઘાટલોડિયાના અર્જુન ટાવરના સંક્રમિત સ્થળ ઉપરાંત સરખેજની કોટેશ્વર સોસાયટી,પાલડીના નિરાંત એપાર્ટમેન્ટની સાથે આંબાવાડીના સારંગ ફલેટના સંક્રમણવાળા વિસ્તારને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યાં છે. કાલુપુર રેલવે સ્ટેશન ખાતે રાજધાની એકસપ્રેસ ટ્રેનમાં આવેલાં 754 મુસાફરોના ટેસ્ટ કરાતા નવ પોઝિટિવ કેસ મળી આવ્યા હતા.
મુઝફરપુર એકસપ્રેસના 504 મુસાફરોના ટેસ્ટ કરાતા બે મુસાફરો જયારે ગોરખપુર એકસપ્રેસના 370 મુસાફરોના ટેસ્ટ કરાતા ચાર મુસાફરો પોઝિટિવ મળી આવતા તેમને નજીકના કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.
શહેરના વધુ એક કોર્પોરેટર કોરોના પોઝિટિવ
શહેરના રામોલ-હાથીજણ વોર્ડના કોર્પોરેટર અતુલ પટેલનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ગત માર્ચ મહીનાથી અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસના બે ડઝનથી પણ વધુ કોર્પોરેટરો કોરોના પોઝિટિવ થયા છે.આ શ્રેણીમાં વધુ એક કોર્પોરેટર કોરોના પોઝિટિવ થયા છે.