ધો.૧૦માં નાપાસ થયા બાદ હવે વિદ્યાર્થીને સ્કૂલમાં પુનઃપ્રવેશ નહીં
શિક્ષણ બોર્ડે પુનઃપ્રવેશની જોગવાઈ રદ કરી
૧૦ વિદ્યાર્થીની મર્યાદામાં પણ પુનઃપ્રવેશ ન અપાતા સ્કૂલો બંધ થશે ઃ સંચાલકોની ફરિયાદ
Updated: Sep 27th, 2022
અમદાવાદ
ધો.૧૦માં
નાપાસ થયા બાદ વિદ્યાર્થીને જે તે સ્કૂલમાં પુનઃ પ્રવેશની જોગવાઈ ગુજરાત શિક્ષણ
બોર્ડ દ્વારા રદ કરી દેવામા આવી છે.જેથી હવે વિદ્યાર્થીને સ્કૂલમાંથી ભણીને ફરી
બોર્ડ પરીક્ષા આપવાની તક નહીં મળે. જોગવાઈ રદ થતા સંચાલકોની ફરિયાદ છે કે
પુનઃપ્રવેશ ન થતા વર્ગોમાં સંખ્યા ઘટશે અને સ્કૂલો બંધ થશે.
ગુજરાત શિક્ષણ
બોર્ડે માર્ચ ૨૦૨૨ની બોર્ડ પરીક્ષામાં નાપાસ થયેલા ધો.૧૦ના ૨૦ વિદ્યાર્થીઓને ધો.૧૦માં
નિયમિત પ્રવેશ આપવા અંગેની સ્કૂલોની રજૂઆત બાબતે સ્પષ્ટતા કરી છે કે ગુજરાત માધ્યમિક
અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪ની જોગવાઈ મુજબ બોર્ડ દ્વારા લેવાયેલ ધો.૧૦ની
આખરી પરીક્ષામા નાપાસ થયા બાદ નોંધાયેલ સ્કૂલમાં જ એટલે કે પ્રથમવાર જે સ્કૂલમાંથી
બોર્ડ પરીક્ષા ફોર્મ ભર્યુ હોય તેજ સ્કૂલમાં પુનઃ પ્રવેશ ૧૦ વિદ્યાર્થીની મર્યાદામાં
જ અધિકારીની મંજૂરીથી આપી શકવાની જોગવાઈ હતી. પરંતુ સુધારેલા વિનિયમો મુજબ ધો.૧૦માં
પુનઃ પ્રવેશની જોગવાઈ રદ કરવામા આવી છે.
અગાઉ સ્કૂલો
નાપાસ થયેલા વિદ્યાર્થીમાંથી ૧૦ વિદ્યાર્થીને ડીઈઓની મંજૂરીથી ધો.૧૦ના પ્રત્યેગ
વર્ગમાં પ્રવેશ આપી શકતી હતી પરંતુ આ જોગવાઈ રદ થતા સંચાલકોએ વિરોધ કર્યો
છે.સંચાલકોની ફરિયાદ છે કે આ જોગવાઈ રદ થવાથી ગરીબ-મધ્યવર્ગના અને ખાસ કરીને
ગ્રામ્યના વિદ્યાર્થીઓને મોટું નુકશાન થશે.ફરી પરીક્ષા આપવા માટે ખાનગી ટયુશનો
રાખીને એક્સટર્નલ તરીકે પરીક્ષા આપવી પડશે.સ્કૂલ અભ્યાસનો લાભ નહી મળે અને સ્કૂલોને પણ વિદ્યાર્થીઓ ઘટતા વર્ગો બંધ કરવા
પડશે.