અંજાર શહેરમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા બનેલા રસ્તા તુટવા માંડયા
Updated: Jul 4th, 2021
- શહેરના વોર્ડ નં.3,4,5 અને 6માં બનેલા રસ્તાઓ તુટી જતાં ફેલાયો
- મત મેળવવા હલકી કક્ષાનો માલ વાપરીને નબળા કામ કરાયાનું પાધરૂ થયું
ભુજ : અંજાર નગર પાલિકાની ચૂંટણી પુર્વે બનેલા અનેક સી.સી રોડ તુટવા માંડતા અત્યંત હલકી કક્ષાનું કામ ભાજપની બોડી દ્વારા કરાયું હોવાનું પાધરૂ થયું છે. લોકો પાસેથી મત મેળવવા નબળી ગુણવત્તાના રમકડા જેવા કામો કરીને ખુલ્લેઆમ ખાયકી કરાઈ હોવાનું બહાર આવતા ભારે રોષ ફાટી નીકળ્યો છે.
વિકાસકામો દર્શાવવા તથા મતદારોને રીઝાવવા સત્તાપક્ષે નવા રસ્તાઓ બનાવ્યા હતા તથા ચુંટણીમાં વિકાસકામો કરાયા હોવાનો યશ લેવાયો હતો. પરંતુ બોડીના શાસકોની પોલ નબળા કામે પાધરી કરી દિધી છે. હજુ તો પાંચ માસ થયા છે ને વોર્ડ ૩,૪,૫ અને ૬માં બનેલા રસ્તાઓ તુટી જતાં ચોમાસામાં લોકો પસાર થવું મુશ્કેલ બનશે. જાગૃતોએ જણાવ્યું હતું કે, શિવમ કન્ટ્રક્શન દ્વારા કામધેનું, મિથિલાનગરી, મકલેશ્વર, જન્મોત્રી, વરસામેડી નાકા પાસે,વાધેશ્વરી ફળીયા સહિતના વિસ્તારોમાં સીસીરોડ, ઈન્ટરલોકિંગ, પેવર બ્લોકરોડના કામ કરવામાં આવ્યા હતા.
જે તે સમયે એજન્સીએ રસ્તાનું કામ ટેન્ડરથી ૩૧ થી ૫૦ ટકા નીચું ભરીને મેળવ્યું હતું. પરંતુ કામમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોય તે હાલના તુટતાં જતાં કામ પરથી જણાઈ રહ્યું છે. મોટાભાગના રસ્તાઓની સાઈડો તુટવા ઉપરાંત કાંકરીઓ નીકળવા માંડી છે. ત્યારે કોન્ટ્રાકટરના પાસે ફરીથી રસ્તાઓનું કામ કરાય તેવી માંગણી કરાઈ છે. તથા કામ કરવામાં ભ્રષ્ટ્રાચાર આચરનારા બાંધકામ શાખાના કર્મચારીઓ તથા શાસકોને પણ સંકજામાં લઈને કાયદાકીય કાર્યવાહી કરાય તેવી માંગણી કરાઈ છે.