માધાપર હત્યા પ્રકરણ : પકડાયેલ આરોપી મહોર : હત્યા માટે સોપારી અપાઈ હોવાનો દાવો
- ભુજમાં રબારી ભરવાડ સમાજની વિશાળ મૌન રેલી નિકળી
- હત્યા આસપાસના સીસીટીવી કેમેરા ચકાસવાની માંગ, આરોપીને ભગાડવામાં મદદ કરવા સ્કોર્પીયોની મદદ લેવાઈ!
Updated: Sep 2nd, 2022
ભુજ,ગુરૃવાર
ભુજ તાલુકાના માધાપર ગામે રબારી યુવકની હત્યા મામલે આજે ભુજમાં રબારી ભરવાડ સમાજની વિશાળ મૌન રેલી નિકળી હતી. પકડાયેલો આરોપી મહોરૃ હોવાનો અને હત્યા માટે સોપારી અપાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ગત શુક્રવારે માધાપર ગામે અંગત અદાવતમાં રબારી યુવાનની હત્યા થઈ હતી જેના ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યારાને ઝડપી પાડયો હતો. મૃતક યુવકની હત્યા પાછળ કાવતરૃ હોવાની રજુઆત આજે કરાઈ હતી.
ભુજમાં નિકળેલી વિશાળ રેલીમાં રબારી ભરવાડ સમાજના હજારો લોકો જોડાયા હતા. આગેવાન અરજણ રબારીએ એવો દાવો કર્યો હતો કે પોલીસ દ્વારા પકડાયેલ આરોપી તો માત્ર મ્હોરૃ છે. હત્યા માટે તેને સોપારી અપાઈ હતી. હત્યા સમયે રીક્ષા, ગાડીઓ જેવા વાહનો વપરાયા હતા. હત્યાની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપાઈ હોવાનો સંતોષ વ્યકત કરવામાં આવ્યો હતો. પરંતુ, કેટલાક લોકો આ મામલાને કોમી રંગ આપવા પ્રયાસ કરી રહ્યા હોવાનો પણ આરોપ મુકયો હતો. ઘટના બાદ માધાપરમાં તોડફોડની ઘટનાને અરજણ રબારીએ વખોડી જણાવેલ કે,
તે મામલે પણ કેટલાક નિર્દોષ લોકોને ફીટ કરી દેવાયા છે. તે મામલે પણ નિષ્પક્ષ તપાસ કરાય તેવી માંગ કરાઈ હતી.
ગત શુક્રવારે પરેશ રાણા રબારી(ઉ.વ.૨૦) ની હત્યા થઈ હતી જે મામલે આજે પાઠવાયેલા આવેદનપત્રમાં વધુમાં જણાવાય હતુ કે, આ કિસ્સામાં બસ સ્ટેશન તાથા આજુબાજુના વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરા ચકાસવામાં આવે. આરોપીને ભગાડવા માટે બ્લેક કલરની સ્કોર્પીયોની મદદ લેવાઈ હતી. તેની પાછળ મુખ્ય ભેજાબાજોના નામો પણ પોલીસને અપાયા છે. પરેશની હત્યામાં સામેલ અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવે, તેમજ રબારી સમાજના ટોળા વિરૃધૃધ ખોટી ફરિયાદો થઈ છે તેમાં નિર્દોષ વ્યકિતઓના નામો ફરિયાદમાંથી કમી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.