અહીં અમારૂ કોઈ ભવિષ્ય નથી, ગુરૂદ્વારા પરના હુમલા બાદ અફઘાનિસ્તાન છોડવા માંગે છે તમામ શીખો
Updated: Jun 21st, 2022
નવી દિલ્હી,તા.21 જૂન 2022,મંગળવાર
અફઘાનિસ્તાનમાં કાબુલમાં ગુરૂદ્વારા પર થયેલા હુમલા બાદ હવે દેશમાં રહેતા થોડા ઘણા શીખ પણ અફગાનિસ્તાન છોડવા માંગે છે.
ગુરુદ્વારા પર થયેલા હુમલામાં ઘાયલ એક શીખે કહ્યુ હતુ કે, અમારી તમામ આશાઓ મરી પરવારી છે. અહીંયા અમારૂ કોઈ ભવિષ્ય નથી અને અમે અહીંયા ડરી ડરીને જીવી રહ્યા છે.
ઓગસ્ટમાં તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તા કબ્જે કરી તે પછી ઘણા શીખો આ ગુરૂદ્વારાની આસપાસ જ રહેવા આવી ગયા હતા.
જોકે ગુરૂદ્વારાઓ પર પહેલા પણ હુમલા થઈ ચુકયા છે. 2020માં કાબુલમાં એક ગુરુદ્વારામાં આતંકવાદીઓએ કરેલા ફાયરિંગમાં 25 લોકોના મોત થયા હતા. આ જ રીતે જલાલાબાદમાં થયેલા એક આત્મઘાતી હુમલામાં 19 લોકો માર્યા ગયા હતા અને તેમાંના મોટાભાગના શીખ હતા.
કાબુલના ગુરૂદ્વારા પર તાજેતરમાં થયેલા હુમલાની જેમ અગાઉના બે હુમલાની જવાબદારી પણ ઈસ્લામિક સ્ટેટે લીધી હતી.
1970માં આ દેશમાં પાંચ લાખ શીખો રહેતા હતા અને હવે સંખ્યા ઘટીને માત્ર 200 જ રહી છે. તેમાં પણ 100 જેટલા હિન્દુ અને શીખોને તો ગુરૂદ્વારા પરના તાજેતરના હુમલા બાદ ભારત સરકારે ઈ વિઝા આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઈસ્લામિક સ્ટેટે હુમલા બાદ કહ્યુ હતુ કે, નુપુર શર્માએ કરેલી મહોમંદ પયંગબર પરની ટિપ્પણીનો બદલો લેવા માટે અમે આ હુમલો કર્યો હતો.