7000 મોત, અમેરિકામાં કર્ફ્યૂ, ફ્રાંસમાં લોકડાઉન, કોરોના સામે ઘૂંટણિયે પડી દુનિયા
Updated: Mar 17th, 2020
નવી દિલ્હી, તા. 17 માર્ચ 2020, મંગળવાર
કોરોના વાઇરસે દુનિયાના તાકાતવર દેશોને પણ ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધા છે. કોરોનાના સંક્રમમણથી બચવા અમેરિકાના બે મોટા રાજ્ય ન્યૂ જર્સી અને સાન ફ્રાન્સિસ્કોમાં કર્ફ્યૂની જાહેરાત કરી દેવામાં આવી છે. અમેરિકાના નાગરિકોને કહેવામાં આવ્યું છે કે શક્ય હોય ત્યાં સુધી બહાર જવાનું ટાળવું. અમેરિકાના રાષ્ટ્રપતિએ સોમવારે દેશવાસીઓને કહ્યું કે દસથી વધારે લોકો એકઠા ન થાય.
બીજી તરફ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોએ સોમવારના રોજો કોરોના વાઇરસને મુદ્દે રાષ્ટ્રને સંબોધિત કર્યા. જેમાં તેમણે આગામી 15 દિવસ સુધી દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કોરોનાનો ચેપ ફેલાય નહીં તે માટે ફ્રાંસના નાગરિક 15 દિવસ સુધી ઘરની બહાર ન નીકળે અને શક્ય હોય ત્યાં સુધી પોતાના સામાજિક સંપર્કને ઓછા કરી નાખો. જરુરી ટ્રીપની પરવાનગી આપવામાં આવશે અને જે આદેશનું ઉલ્લંઘન કરશે તેને દંડિત કરવામાં આવશે.
જુલાઇ-ઓગસ્ટ સુધી બધુ જ સમસુતરુ થઇ જશે
અમેરિકા કોરોના વાઇરસને નાથવા વેક્સીનનું પરીક્ષણ કરી ચુક્યું છે, પરંતુ અમેરિકાને પણ લાગે છે કે આ બીમારી પર કાબુ મેળવવા માટે જુલાઇ-ઓગસ્ટ સુધી લાગી શકે છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે પહેલીવાર સ્વીકાર્યું કે અમેરિકાની અર્થવ્યવસ્થા મંદીના દૌરમાં જઇ શકે છે.
અત્યાર સુધી 7000થી વધારે લોકોના મોત
કોરોના વાઇરસના પ્રકોપના અત્યાર સુધી 145 દેશોમાં ફેલાઇ ચુક્યો છએ. આ બીમારીથી અત્યાર સુધી 7007 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે પોમા બે લાખ લોકો તેની ચપેટમાં આવી ચુક્યાં છે.
ભારતમાં કોરોનાના 114 કેસ નોંધાયા
કોરોના વાઇરસ ધીરે ધીરે બધા રાજ્યોમાં ફેલાવા લાગ્યો છે. ઓડિશામાં પણ વાઇરસનો પહેલો કેસ સામે આવ્યો છે. બીજી તરફ દેશમાં અત્યાર સુધીમાં કુલ 114 લોકો કોરોના વાઇરસની લપેટમાં આવી ગયા છે અને તેમને સારવાર અપાઇ રહી છે. જે નવા કેસો સામે આવ્યા છે તેમાં જમ્મુ કાશ્મીર, કેરળનો પણ સમાવેશ થાય છે. જ્યારે સૌથી વધુ કફોડી સિૃથતિ મહારાષ્ટ્રની છે કે જ્યાં વધુ ચાર લોકોને આ વાઇરસે ભરડામાં લીધા છે અને દેશમાં સૌથી વધુ 37 કેસો મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. માત્ર મુંબઇમાં જ ચાર નવા કેસો કોરોનાના સામે આવતા તંત્ર દોડતુ થઇ ગયું છે.
મહારાષ્ટ્રમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી ગયા
જ્યારે કોરોના વાઇરસની સારવાર લઇ રહેલા 11 શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી ગયા છે અને આ રીતે દર્દીઓના ભાગી જવાની મહારાષ્ટ્રમાં આ ત્રીજી ઘટના છે જેને પગલે વાઇરસ વધુ ફેલાવાની ભીતિ છે, એટલુ જ નહીં અહીંના મુંબઇ પાસેના પાનવેલી વિસ્તારમાં આવેલી હોસ્પિટલનો સ્ટાફ કોરોના વાઇરસના દર્દી હોવાની શંકા જણાતા ભાગી ગયો હોવાના અહેવાલો છે. મહારાષ્ટ્રમાં મોટા મંદિરોને પણ હાલ પુરતા બંધ કરી દેવામાં આવ્યા છે.
ઇટાલીથી પરત ફરેલા ઓડિશાના શખ્સને કોરોના
ઓડિશામાં એક શખ્સ ઇટાલીથી પરત ફર્યો હતો તેને પણ કોરોના વાઇરસ લાગી ગયો છે અને તાત્કાલીક તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. 33 વર્ષીય આ દર્દી દિલ્હી એરપોર્ટ પર સૌથી પહેલા પહોંચ્યો હતો ત્યાંથી તે ટ્રેન દ્વારા ભુવનેશ્વર આવ્યો હતો, તેથી એવી શક્યતાઓ છે કે તે જ્યાં પણ ગયો ત્યાં કોરોના વાઇરસ થવાની શંકાઓ છે. જોકે તેની સિૃથતિમાં સુધારો છે તેમ સરકારે દાવો કર્યો છે.
અનેક રાજ્યમાં શટડાઉન જેવી સ્થિતિ
અનેક રાજ્યોમાં શાળા કોલેજો, થીયેટરો, મોલ, સ્વિમિંગ પુલ, જીમ, વગેરેને બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે દિલ્હીમાં આ ઉપરાંત વધારાના પગલા લેવાયા છે અને કોઇ પણ જાહેર, ધાર્મિક. સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવાનો આદેશ મુખ્ય પ્રધાન કેજરીવાલે આપ્યો છે. બીજી તરફ બિહારમાં કોઇ મોટા પ્રતિબંધો નથી લગાવાયા, મુખ્ય પ્રધાન નિતિશ કુમારે દાવો કર્યો હતો કે આવા કોઇ પ્રતિબંધોની જરૂર નથી અને લોકોએ સાવચેત રહેવાની વધુ જરૂર છે.