U.N.S.C.એ પુલવામા હુમલાને વખોડતો પ્રસ્તાવ રજૂ કર્યો, પાકિસ્તાનને કડક સંદેશ
Updated: Feb 22nd, 2019
વોશિંગ્ટન, તા. 22 ફેબ્રુઆરી 2019, શુક્રવાર
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પુલવામા આતંકવાદી હુમલાની આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા ફિદાયીન હુમલાને યૂ.એન. સલામતિ સમિતિના સભ્ય દેશોએ કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું છે. ભારતના પ્રસ્તાવ પર U.N.S.C.ના પાંચ કાયમી સભ્યો અને 10 અસ્થાયી સભ્યોએ આ હુમલાને વખોડ્યો હતો. ચીન પણ આ સમિતિમાં સામેલ છે.
સુરક્ષા પરિષદના સભ્યોએ શહીદ થયેલા જવાનોના પીડિત પરિવારો, ઇજાગ્રસ્તો અને ભારત સરકાર પ્રત્યે ઊંડી સહાનુભૂતિ અને સાંત્વના વ્યક્ત કરી છે. હુમલામાં ઇજા પામેલા લોકોને જલ્દી સ્વસ્થ થવાની કામના પણ કરવામાં આવી છે. સુરક્ષા પરિષદના સભ્યોએ એ વાત પર ભાર મૂક્યો કે આતંકવાદ ગમે તે સ્વરૂપમાં હોય, તેને સહન કરી શકાય એમ નથી કારણ કે તે વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે સૌથી મોટો ખતરો છે.
સુરક્ષા પરિષદે એ વાત પર પણ જોર આપ્યું કે આતંકવાદના કાવતરાખોરો, આયોજકો અને ફંડ આપનારા વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઇએ. જે લોકો અને સંગઠન આવા કૃત્યો માટે જવાબદાર છે તેમને ન્યાયની અદાલતમાં ખડા કરવાની જરૂરિયાત છે. સુરક્ષા પરિષદના સભ્ય દેશોએ અપીલ કરી છે કે આંતરરાષ્ટ્રીય નિયમ અને કાયદા અને સુરક્ષા પરિષદ સંબંધિત પ્રસ્તાવો અંતર્ગત એકબીજાની મદદ કરતા આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઇએ.