સમગ્ર વિશ્વને હંકાવી શકે છે સમુદ્રી જ્વાળામુખી, આગાહી પણ લગભગ અસંભવ; જાણો શું થયું ન્યૂઝીલેન્ડમાં ફાટેલા આ વોલ્કાનોથી....
Updated: Jun 21st, 2022
- વૈજ્ઞાનિકો દ્વારા પાણીની અંદર રહેલા જ્વાળામુખીઓ માટે એક આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ બનાવવાની તૈયારી ચાલી રહી છે પરંતુ સફળતા અંગે હજી પણ આશંકા
વેલિંગ્ટન, તા. 21 જૂન 2022, મંગળવાર
ન્યૂઝીલેન્ડની પાસે રહેલ સમુદ્રી જ્વાળામુખી ટોંગામાં 15 જાન્યુઆરી 2022ના રોજ વિસ્ફોટ થયો હતો. આ સમુદ્રી જ્વાળામુખી ફાટતા સુનામી પણ આવી હતી. જોકે આ વિશે કોઈપણ વૈજ્ઞાનિકને જરા પણ આઈડિયા નહોતો. અમેરિકાનુ એક સેટેલાઈટ વિસ્ફોટ અગાઉ તેની ઉપર જ ઉડી રહ્યુ હોવાથી અનાયાસે તેના ફોટાઓ અને વીડિયો લઈ લીધા હતા.
આ ઘટના અગાઉ 139 વર્ષ પહેલા 1883માં ઉનાળામાં જાવા અને સુમાત્રા દ્વીપોની વચ્ચે આવેલી સુંડાની ખાડીમાં એક જ્વાળામુખી ફાટ્યો હતો. તેનો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે રાખ અને ધુમાડાના વાદળ આકાશ સુધી ઉડ્યા હતા. આ જ્વાળામુખીમાંથી 25 ઘન કિલોમીટર કચરો નીકળ્યો હતો. ગરમ રાખ, લાવા અને સુનામીના કારણે હજારો લોકો મોતને ભેટ્યા હતા. આ જ્વાળામુખીનુ નામ ક્રાકાટોવા છે. તેની નોંધ ઈતિહાસના સૌથી ભયાનક વિસ્ફોટ કરનાર વોલ્કેનો તરીકે થયેલી છે.
ટોંગા વિસ્ફોટના કારણે સંપર્ક તૂટી ગયો હતો :
ટોંગામાં ફાટેલા જ્વાળામુખીના કારણે સમુદ્રની નીચેની સંચાર લાઈન તૂટી ગઈ હતી. સાઉથ પેસેફિક રાષ્ટ્રોનો આખા વિશ્વ સાથેનો સંચાર તૂટી ગયો હતો. વિસ્ફોટની જગ્યાએ લાખો વખત વીજળી પડતી હતી અને આખી પૃથ્વી ઉપર બે વાર શોકવેવ ફરી વળી હતી. ટોંગાની આસપાસના દ્વીપો ઉપર રહેતા 1 લાખ લોકોને કુદરતી આફતોનો સામનો કરવો પડ્યો હતો.
સમુદ્રી જ્વાળામુખીને શોધવા મુશ્કેલ :
વૈજ્ઞાનિકો માટે સૌથી મોટી સમસ્યા એ છે કે સમુદ્રની અંદર અથવા પાણીની અંદર રહેલા જ્વાળામુખીઓનો અભ્યાસ ખુબ જ મુશ્કેલ હોય છે. આ જ્વાળામુખીઓના વિસ્ફોટ પહેલા કોઈ પણ પ્રકારની ભૂકંપીય હલચલ થાય તો પણ તે પાણીના દબાણના કારણે અનુભવાતી નથી. આ પ્રકારના જ્વાળામુખીઓને શોધવા પણ ખૂબ જ મુશ્કેલ છે.
આગોતરી વોર્નિંગ સિસ્ટમ બનાવવાઈ રહી છે –
વૈજ્ઞાનિકો હવે આ પ્રકારના જ્વાળામુખીઓની તપાસમાં લાગી ગયા છે. પાણીની અંદર રહેલા જ્વાળામુખીઓ માટે એક આગોતરી વોર્નિંગ સિસ્ટમ બનાવવાની તૈયારી ચાલી રહી છે, જેના કારણે જ્વાળામુખીઓની વર્તમાન સ્થિતિ અંગે તેમજ ક્યારે કયો જ્વાળામુખી ફાટશે તેની જાણકારી મળી શકે. જેથી કુદરતી આફત આવે તે પહેલા તેની માહિતી મળી શકે અને લોકોના પ્રાણ બચાવી શકાય.
જ્વાળામુખીને જોઈને ડરી ગયા વૈજ્ઞાનિકો
ટોંગામાં જ્વાળામુખી વિસ્ફોટ બાદ NIWA (ન્યૂઝીલેન્ડ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વોટર એન્ડ એટ્મોસ્ફીયરીક રિસર્ચ) ત્યાં સ્ટડી માટે એક જહાજ મોકલ્યુ હતું. તેણે જ્વાળામુખીની આસપાસના 1 હજાર વર્ગ કિલોમીટર સમુદ્રની સ્ટડી કરીને એક નકશો બનાવ્યો હતો. આ સ્ટડી દરમિયાન વૈજ્ઞાનિકો પણ તેની તસવીરો જોઈને ડરી ગયા હતા.