દુનિયાના સાતમાં સૌથી અમીર વ્યક્તિ લઇ રહ્યા છે છૂટાછેડા
Updated: Jun 20th, 2022
નવી દિલ્હી, તા. 20 જૂન 2022, સોમવાર
વિશ્વના સાતમા સૌથી ધનિક વ્યક્તિ સેર્ગેઈ
બ્રિન તેમની બીજી પત્નીથી છૂટાછેડા લઈ રહ્યા છે. સર્ગેઈએ નવેમ્બર 2018માં નિકોલ શાનાહન
સાથે લગ્ન કર્યા અને તે જ વર્ષે નિકોલે એક પુત્રીને જન્મ આપ્યો. હવે આ કપલ અલગ થઈ રહ્યું
છે. આ સાથે હવે
વિશ્વના ટોચના સાત અમીર લોકોમાંથી પાંચના છૂટાછેડા થઈ ગયા છે.
જેમા એલોન મસ્ક, જેફ બેઝોસ, બર્નાર્ડ આર્નોલ્ટ, બિલ ગેટ્સનું નામ સામેલ છે. હવે આ
યાદીમાં સર્ગેઈ બ્રિનનું નામ સામેલ થઈ ગયું છે. એટલે કે, ટોચના
સાત અમીરોમાં, સેર્ગેઈ બ્રિન છૂટાછેડા લેનાર પાંચમી વ્યક્તિ હશે.
છૂટાછેડા માટે કરી અરજી
ગૂગલના કો-ફાઉન્ડર અને વિશ્વના સાતમા
સૌથી ધનિક વ્યક્તિ સર્ગેઈ બ્રિન અને તેમની બીજી પત્ની નિકોલ શાનાહાને કોર્ટમાં
છૂટાછેડા માટે અરજી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને 15 ડિસેમ્બર 2021થી
અલગ રહે છે. બંને વચ્ચે મતભેદ એટલા વધી ગયા છે કે હવે તેઓએ છૂટાછેડા લેવાનો નિર્ણય
લીધો છે.
સર્ગેઈ આ છૂટાછેડાને સંપૂર્ણ રીતે ગોપનીય
રાખવા માંગે છે, તેની પાછળનુ કારણ એ છે કે, તેને લાગે છે કે જો છૂટાછેડા વિશેની માહિતી બહાર
આવશે, તો તેમની પુત્રીને હેરાન કરવાની અથવા તેનું અપહરણ થવાની
સંભાવના છે. એટલું જ નહીં, આ કારણે તેમણે એક ખાનગી ન્યાયાધીશની
નિમણૂક કરી છે, જે કેસની સુનાવણી જલ્દી કરાવવામાં મદદ કરશે.
સર્ગેઈ 8.23 લાખ કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. શાનાહન એક વકીલ અને એન્ટરપ્રેન્યોર છે. સર્ગેઈએ મે 2007માં પહેલીવાર એની વોજિકી સાથે લગ્ન કર્યા હતા. 2015માં તેણે 8 વર્ષ પછી એની સાથે છૂટાછેડા લીધા હતા. હાલમાં, સર્ગેઈના આ છૂટાછેડા પછી, વિશ્વના ટોચના અમીરનું અંગત જીવન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. એક હકીકત એ પણ છે કે સર્ગેઈના આ છૂટાછેડા પછી જ વિશ્વના ટોચના સાત અમીર લોકોમાંથી પાંચના છૂટાછેડા થઈ ચૂક્યા છે.