કાશ્મીર મુદ્દે સાઉદી અરબ ભારતને આપશે ઝાટકો? પાક મીડિયાનો દાવો
Updated: Dec 27th, 2019
ઈસ્લામાબાદ, તા. 27. ડિસેમ્બર 2019 શુક્રવાર
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મુદ્દે અત્યાર સુધી ભારતની સાથે રહેલુ સાઉદી અરબ હવે આ જ મુદ્દે ભારતને ઝાટકો આપી શકે છે તેવો દાવો પાકિસ્તાની મીડિયાએ કર્યો છે.
પાકિસ્તાનના એક અખબારે પ્રકાશિત કરેલા અહેવાલ પ્રમાણે સાઉદી અરેબિયા આ મુદ્દે ઈસ્લામિક સહયોગ સંગઠનના સભ્ય મુસ્લિમ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક બોલાવીને ચર્ચા કરશે.
અખબારે કહ્યુ છે કે, પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ સાઉદીના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ ફરહાન સાથે ચર્ચા કરી હતી અને તેમણે કાશ્મીર મુદ્દે આ બેઠક બોલાવવાનુ આશ્વાસન આપ્યુ છે.પ્રિન્સ ફૈઝલે પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન સાથે પણ મુલાકાત કરી હતી.આ બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી ઉપરાંત અન્ય ટોચના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
સાઉદીના વિદેશ મંત્રીએ બેઠક બાદ પાકિસ્તાન સાથે ભાઈચારાના સબંધો હોવાનુ નિવેદન આપ્યુ હતુ.પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યુ હતુ કે, સાઉદી અને પાકના મંત્રીઓ વચ્ચે કશ્મીર મુદ્દે ઈસ્લામિક દેશોના સંગઠનની ભૂમિકા અંગે ચર્ચા થઈ છે, સાથે સાથે ભારતના નાગરિકતા કાનૂન અને એનઆરસી અંગે પણ ચર્ચા થઈ છે.