માલદીવ: યોગ દિવસ પર આયોજિત કાર્યક્રમમાં ઘૂસ્યા ઉપદ્રવી, તોડફોડ કરી મચાવ્યો હોબાળો
Updated: Jun 21st, 2022
માલે, તા. 21 જૂન 2022 મંગળવાર
21 જૂને ભારત વિરોધી કટ્ટરપંથીઓએ માલદીવમાં યોગ દિવસ સમારોહમાં અવરોધ પેદા કર્યો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા દ્વારા સામે આવ્યો, જેમાં ભારત વિરોધી કટ્ટરપંથીઓને ગાલોલહુ સ્ટેડિયમમાં પ્રવેશ કરતા જોઈ શકાય છે જ્યાં લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગ કરી રહ્યા હતા. તેમણે સ્ટેડિયમમાં તિરંગાને ઉખેડી ફેંક્યા અને સમારોહમાં હાજર લોકો પર હુમલા કરવા તેનો ઉપયોગ કર્યો. અન્ય વીડિયોમાં દર્શાવવામાં આવ્યુ છે કે કેવી રીતે કટ્ટરપંથીઓએ કાર્યક્રમ સ્થળને નષ્ટ કરી દીધુ અને લોકો માટે બનાવાયેલા ફૂડ સ્ટોલને પણ નુકસાન પહોંચાડ્યુ.
રિપોર્ટ અનુસાર આ કાર્યક્રમનુ આયોજન માલદીવમાં ભારતીય મિશન દ્વારા યુવા, રમતગમત અને સમુદાય વિકાસ મંત્રાલયના સહયોગથી કરવામાં આવ્યુ હતુ. જ્યારે કટ્ટરપંથીઓ સ્ટેડિયમમાં પહોંચ્યા ત્યારે આ કાર્યક્રમમાં રાજદ્વારી, સરકારી અધિકારી અને માલદીવના મંત્રી હાજર હતા.
સવારે 6:30 વાગે શરૂ થયેલા આ કાર્યક્રમને કટ્ટરપંથીઓના ઘૂસ્યા બાદ રોકી દેવાયો હતો. પોલીસને ઉત્તેજિત ઈસ્લામી ચરમપંથીઓને હટાવવા માટે ટીયર ગેસ છોડવો પડ્યો જેથી સ્થિતિ શારિરીક તકરાર સુધી ન પહોંચે.
માલદીવના રાષ્ટ્રપતિએ કહ્યુ તપાસ શરૂ કરાઈ છે
ઘટના બાદ માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે એક નિવેદન જારી કર્યુ અને કહ્યુ કે માલદીવ પોલીસે આજે સવારે ગાલોલહુ સ્ટેડિયમમાં થયેલી ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આને ગંભીર ચિંતાનો વિષય માનવામાં આવી રહ્યો છે અને આ માટે જવાબદાર લોકોને ટૂંક સમયમાં કાયદા સમક્ષ લાવવામાં આવશે.