'સલામી સ્વાઇસિંગ' રણનીતિથી ચીન નેપાળની જમીન દબાવી રહ્યું છે : હિન્દુઓ, બૌદ્ધોને તેમના મંદિરોમાં જવા દેવાતા નથી
Updated: Nov 24th, 2022
- નેપાળના 15માંથી 7 પ્રાંતોમાં (દોલખા, ગોરખા, દારચુલા, હુમલા, સિંધુપાલ ચોક, સંખુવાસા અને રસુના) ચીનનું અતિક્રમણ સતત ચાલી રહ્યું છે
કાઠમંડુ : નેપાળની ઉત્તરની સરહદે ચીને ૧૦ જગ્યાએ ૩૬ હેક્ટર ભૂમિ ઉપર કબજો જમાવી દીધો છે. જાણકારો તેને 'સલામી સ્વાઇસિંગ' કહે છે. આ નીતિ દ્વારા ચીન પહેલા થોડી થોડી બીજા દેશની જમીન હડપતું જાય છે આખા દેશને ઘણીવાર ખબર પણ પડતી નથી પછી એકાએક વધુ વિસ્તાર પોતાનો જાહેર કરી દે છે. ભારતમાં લડાખ તેની આ નીતિનો ભોગ બન્યું છે.
આવી જ પદ્ધતિ ચીને નેપાળ સામે અપનાવી છે. તેના કૃષિ મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા દસ્તવેજો પ્રમાણે ચીને ૧૦ જગ્યાઓએ ૩૬ હેક્ટર જમીન દબાવી દીધી છે. ત્યાં રહેલા હિન્દુ કે બૌદ્ધ મંદિરોમાં તે હિન્દુઓ કે બૌદ્ધોને જવા દેતું નથી.
ચીનની આ નીતિ નેપાળ સમજી જ શક્યું નથી. પીપલ્સ લિબરેશન આર્મ (પીએલએ)એ ૨૦૧૬માં નેપાળના એક જિલ્લામાં પશુ ચિકિત્સાલય બનાવી દીધું પરંતુ નેપાળે તેની સામે કોઈ વાંધો ઉઠાવ્યો નહીં.
યુકેના મીડીયાના એક રિપોર્ટમાં તો તેમ કહેવાયું છે કે, ચીને ઉલ્ટાનો નેપાળ ઉપર પોતાની જમીન દબાવવાનો આક્ષેપ કર્યો છે. તે પછી કહેવાતા સત્તાવાર દસ્તાવેજો દ્વારા નેપાળનો પશ્ચિમનો પ્રદેશ પોતાનો છે તેમ જણાવી સીમા ચોકી આસપાસ નહેરો અને સડકો બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. દારચુલા અને ગોરખા પ્રાંતોમાંના ગામડાઓ ઉપર પણ ચીને કબજો જમાવી દીધો છે. સપ્ટેમ્બર ૨૦૨૦માં હુમલા પ્રાંતની સુદૂર સીમા ઉપર ૧૧ ઇમારતો પણ બનાવી દીધી છે.
યુ.કે.ના મીડીયા રિપોર્ટ જણાવે છે કે તેમને સ્પર્શતી ચીનની (તિબેટ)ની સીમા પરના લાલુંગ, જોંગામાં ચીન દેખરેખની કાર્યવાહી કરી રહ્યું છે. તે વિસ્તારમાં નેપાળના ખેડૂતો કે પશુપાલકોને આવવા ઉપર પ્રતિબંધ મૂકે છે એટલું જ નહી પરંતુ ત્યાં હિન્દુ કે બૌદ્ધ મંદિરોમાં હિન્દુઓ કે બૌદ્ધોને જવા દેવાતા નથી. ચીને કેટલાય સીમા સ્તંભો પણ ધ્વસ્ત કરી નાખ્યા છે. આથી નેપાળે ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવના નેતૃત્વમાં તપાસ સમિતિ ૨૦૨૧માં રચી હતી તેણે આ રિપોર્ટ આપ્યો છે.