શ્રીલંકાનાં હંબનટોટા પોર્ટ પર લાગરી રહયું છે ચીનનું જહાજ, સર્વેક્ષણના નામે જાસુસીનો છે ખેલ
જહાજ સ્પેસમાં છોડેલા પોતાના સેટેલાઇટ ટ્રેકિંગ માટે હોવાનો ચીનનો દાવો
રિસર્ચ વેસલ ગણાતું જહાજ હકિકતમાં જાસુસી માટેનું હોવાની શંકા
Updated: Aug 17th, 2022
નવી દિલ્હી, 17 ઓગસ્ટ,2022,બુધવાર
તાઇવાન સાથે તણાવ વધ્યા પછી ચીનની પ્રશાંત અને હિંદ મહાસાગરમાં પેશકદમી શરુ કરી છે. થોડાક સમય પહેલા ચીને જે રિસર્ચ વેસલને શ્રીલંકાના હંબનટોટા પોર્ટ પર ઉતારવાની જાહેરાત કરી હતી તે હવે લાંગરવાની તૈયારીમાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચીની જહાજ શ્રીલંકાથી માત્ર 250 કિમી જેટલું જ દૂર છે.
હંબન ટોટા પોર્ટ શ્રીલંકાનું છે પરંતુ લીઝ પર લીધા પછી ચીનને લોન પરત આપી શકયું ન હોવાથી હવે તેના પર ચીન નિયંત્રણ ધરાવે છે. ચીન આ જહાજ પોતે સ્પેસમાં છોડેલા સેટેલાઇટના ટ્રેકિંગ માટે છે એવો દાવો કરે છે પરંતુ આ અર્ધ સત્ય છે. ચીન વિરોધીઓના સેટેલાઇટ પર પણ નજર રાખી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે ચીન ભલે રિસર્ચ વેસલ ગણાવતું હોય પરંતુ હકિકતમાં તો આ જહાજ જાસુસી કરવા માંગે છે.
આ પ્રકારના જહાજ સેટેલાઇટસનું ટ્રેકિંગ અને આંતર ખંડિય બેલિસ્ટિક મિસાઇલ પર નજર રાખવા માટે વપરાય છે. ચીનના આ જહાજનું નામ યુઆન વાંગ 5 છે.ચીનની પીપલ્સ લિબરેશન આર્મી પાસે આવા 4 જહાજ છે જેમાંથી બે સક્રિય છે. એક સમયે ચીન પાસે યુઆન સીરીઝના કુલ 7 જહાજ હતા.
શ્રીલંકા પાસે આવી પહોંચેલું જહાજ ત્રીજી જનરેશનનું ટ્રેકિંગ જહાજ છે. દરિયામાં પ્રતિ કલાક 37 કિમીની ઝડપ ધરાવે છે. આ જહાજ પર ફાઇટર પ્લેન મુકવાની સુવિધા નથી પરંતુ જરુર પડે ફાઇટર હેલિકોપ્ટરનું લેંડિગ કરી શકાય છે. આ જહાજની લંબાઇ 620 ફૂટ છે. જરુર પડે આ જહાજમાં 450 લોકો રહી શકે તેટલી ક્ષમતા છે.