બાંગ્લાદેશમાં પૂરે કહેર વર્તાવ્યો : 60 લાખ લોકો પ્રભાવિત, સરકારે ઉઠાવ્યુ આ પગલુ
Updated: Jun 19th, 2022
ઢાકા, તા. 19 જૂન 2022 રવિવાર
બાંગ્લાદેશમાં સતત થઈ રહેલા વરસાદ અને પૂરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે રાહત અને બચાવ કાર્ય માટે સેનાને બોલાવાઈ છે. સત્તાકીય અનુમાન અનુસાર મકાનોમાં પાણી ઘૂસી જવાના કારણે લગભગ 60 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે અને દેશના ઉત્તરી-પૂર્વી અને ઉત્તરી ક્ષેત્રની નદીઓમાં જળસ્તર સતત વધવાના કારણે કેટલાક લોકો અસ્થાયી શિબિરોમાં રોકાયેલા છે.
પૂર પૂર્વાનુમાન અને ચેતવણી કેન્દ્રના પ્રવક્તાએ કહ્યુ, દેશની ચાર પ્રમુખ નદીઓમાંથી બે નદીઓમાં જળસ્તર જોખમના સ્તરથી ઉપર છે અને પરિસ્થિતિ લગભગ 2004ના પૂર જેવા છે. કેટલાક લોકોને સુનામગંજમાં પાણી ભરાયા બાદ ધાબાનો આશરો લેવો પડ્યો હતો. જોકે બાદમાં નાવની મદદથી તેમને બહાર નીકાળવામાં આવ્યા.
પૂરના કારણે કેટલા લોકોના મોત નીપજ્યા છે એ વિશે હજુ કોઈ સત્તાકીય આંકડો ઉપલબ્ધ નથી. અનૌપચારિક આંકડા અનુસાર દેશમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત નીપજ્યા છે. એફએફડબ્લ્યૂસીએ મેઘાલય અને બાંગ્લાદેશના ઉંચાઈવાળા વિસ્તારમાં સતત થઈ રહેલા વરસાદને આ પૂરનુ કારણ જણાવ્યુ છે. જેને જોતા બાંગ્લાદેશે સેનાને વહીવટીતંત્રની મદદ માટે બોલાવી છે.