ઉધનાના ડબલ મર્ડરમાં બાળ કિશોરના જામીન સેશન્સ કોર્ટે પણ નકાર્યા
કિશોર ઝનુની સ્વભાવનો, કેસના સ્વતંત્ર સાક્ષીઓ તેના રહેણાંક વિસ્તારમાં રહેતા હોવાથી સાક્ષી-પુરાવા સાથે ચેડાની સંભાવના
Updated: Sep 15th, 2021
સુરત
કિશોર ઝનુની સ્વભાવનો, કેસના સ્વતંત્ર સાક્ષીઓ તેના રહેણાંક વિસ્તારમાં રહેતા હોવાથી સાક્ષી-પુરાવા સાથે ચેડાની સંભાવના
ઉધના પોલીસમાં નોંધાયેલા ડબલ મર્ડરના ગુનાઈત કારસામાં સંડોવાયેલા બાળ કિશોરના જામીનની માંગ નકારતા જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના હુકમની કાયદેસરતાને પડકારતી બાળ કિશોરની માતા ની અપીલને આજે એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાએ નકારી કાઢી નીચલી કોર્ટનો હુકમ કાયદેસરનો ઠેરવી કાયમ રાખવા હુકમ કર્યો હતો.
મૂળ ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાના વતની ફરિયાદી હરીશ પ્રેમકુમાર વર્મા (રે.શીવહીરા નગર નવાગામ ડીંડોલી)એ તા.22-4-21ના રોજ નજીવી તકરારની અદાવતમાં કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોર સહિત કુલ આઠ આરોપીઓ સામે રવિ પ્રેમકુમાર શર્મા અને અજય ઉર્ફે શરદ આનંદા ઠાકરેની હત્યા અંગે ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હત્યા બાદ બંનેની લાશ રેલવે ટ્રેક પર મુકી દેવાઇ હતી. આ કેસમાં આરોપી શીવમંદલ કુશ્વવાહા, એજય ઉર્ફે કાલીયા સ્વાઈ, ધર્મેશ રાઠોડ, કાયદાની સંઘર્ષમાં આવેલા 17 વર્ષીય કિશોર સહિત આઠ આરોપીને જેલભેગા કરાયા હતા. તે પૈકી કિશોરને ઓબ્ઝર્વેશન હોમમાં મોકલાયો હતો. ચાર્જશીટ બાદ કતિશોરની માતાએ જુવેનાઇલ બોર્ડ સમક્ષ જામીન માંગતા નકારી કઢાતા સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી.
જેના વિરોધમાં એપીપી કિશોર રેવાલીયાએ જણાવ્યું હતું કે ડબલ મર્ડર કેસમાં બાળ કિશોરે રેમ્બો છરી વડે મરનાર પર જીવલેણ ઘા માર્યા હોઈ ગુનામાં સક્રીય સંડોવણી છે. વધુમાં બાળ કિશોર ઝનુની સ્વભાવનો હોવા ઉપરાંત કેસના મહત્વના સ્વતંત્ર સાક્ષીઓ તેના રહેણાંક વિસ્તારમાં રહેતા હોઈ સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે. જુવેનાઈલ જસ્ટીસ બોર્ડે ગુનાની ગંભીરતા તથા કાનુની જોગવાઈને લક્ષમાં લઈને જામીન નકારતો હુકમ કાયદેસરનો હોય કાયમ ઠેરવવો જોઇએ. જેથી કોર્ટે કિશોરની માતાની અપીલ ફગાવી દીધી હતી.