તીરંદાજીમાં પારંગત થવા માટે સૌથી વધુ જરૂરી છે એકાગ્રતાનું પ્રશિક્ષણ
Updated: Sep 22nd, 2022
મીણબતી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી એકાગ્રતા કેળવી શકાય : યુનિ.માં આંતરકોલેજ તીરંદાજી સ્પર્ધાનો રોમાંચક મુકાબલો ધનુર્વિદ્યાના સાધનોની મોંઘી કીટ કોલેજોને પરવડતી નથી
રાજકોટ, : 'મીણબત્તી ઉપર ધ્યાન કરવાની પ્રેકટીસ શરૂ કર્યા બાદ યોગાસન અને એકાગ્રતાનું પ્રશિક્ષણ આપ્યા પછી વિદ્યાર્થી ધર્નુવિદ્યામાં પારંગત બને છ' સૌરાષ્ટ્ર યુનિ. ખાતે આંતર કોલેજ આર્ચરી સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં ઉત્સાહી ખેલાડીઓનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું હતું.
આર્ચરી અર્થાત ધનુવિદ્યા શિખવવા માટે બાળપણથી ખેલાડીઓને તૈયાર કરવામાં આવે છે. રાજકોટમાં આર્ચરી અને જુડોનાં પ્રશિક્ષણની વ્યવસ્થા બહેનો માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના વડપણ હેઠળ ચાલતી ડીસ્ટ્રીકટ્ સ્પોર્ટસ સ્કુલમાં ઉપલબ્ધ છે. અલબત બોયઝને આર્ચરી વિદ્યા શિખવવા માટેની અહી કોઈ તાલીમ સ્કુલ નથી. રાજકોટની ડીસ્ટ્રીક્ટ સ્પોર્ટસ લેવલ સ્કુલમાં ૪૧ બહેનો અત્યારે આર્ચરીનું શિક્ષણ લઈ રહ્યાં છે. ધર્નુવિદ્યાનુ પ્રશિક્ષણ આપનારા તજજ્ઞાોએ જણાવ્યું હતું કે, રાજયમાં ધર્નુવિદ્યાનાં પ્રશિક્ષણ માટેની એકમાત્ર એકેડેમી દેવગઢ બારિયામાં કાર્યરત છે. આર્ચરીનો ડીપ્લોમાં અને ડીગ્રી કોર્સ પણ અહી થાય છે. સ્કુલગેમમાં જે વિદ્યાર્થીઓ આર્ચરીની સ્પર્ધામાં વિજેતા થયા છે. તેનું સિલેકશન કરી ડીસ્ટ્રીક્ટ સ્પોર્ટ સ્કુલમાં દાખલ કરવામાં આવે છે. જયાં રહેવા જમવાનો તમામ ખર્ચ સરકાર ભોગવે છે. આર્ચરીમાં પસંદગી થયા પછી પણ ઘણાં વિદ્યાર્થીઓ તેમાં કાકકિર્દી બનાવવાને બદલે અધવચ્ચેથી છોડી દયે છે. કારણ કે હજુ આ પ્રકારની ગેમમાં દિકરીઓને પ્રોત્સાહિત કરવામાં વાલીઓને બહુ રસ નથી. અલબત દિકરીઓ જ એકાગ્રતા વધું ઝડપથી કેળવી શકે છે. તેથી આ ગેમમાં તેમને આગળ વધારવી જરૂરી છે.
યુનિ. કેમ્પસ ખાતે આયોજિત સ્પર્ધાના આયોજકોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન 215 કોલેજમાંથી ભાઈઓની 8 અને બહેનોની માત્ર 4 કોલેજનાં સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. ધર્નુવિદ્યાના સાધનોની કીટ મોંઘી હોવાને કારણે પરવડતી નથી તેનાં કોચનો અભાવ હોવાથી આ ગેમ હજુ આપણે ત્યાં વિકસી નથી. ધર્નુવિદ્યાની સ્પર્ધામાં રાષ્ટ્રીયકક્ષાએ ઝળકી શકે તેવા ખેલાડીઓ હોવા છતાં યુનિ.એ વધુ ધ્યાન દેવાની જરૂર છે.