વેપાર-ઉદ્યોગની ગાડી ફરી પાટે ચડી, મકરસંક્રાંતિ સુધી વેપારની આશા
Updated: Sep 13th, 2021
-કાપડ બજારમાં સળવળાટ વધ્યો, બહારગામની માર્કેટમાં આગામી મહિને રવિવારે પણ કામકાજ ચાલુ રાખવા નિર્ણય
સુરત,
ધામક તહેવારોની શરૃઆત સાથે કાપડબજારમાં સળવળાટ એકદમ વધી ગયો છે. બહારગામની ખરીદી પણ નીકળી હોવાને કારણે વેપારીઓના ચહેરા પર ખુશાલી પાછી ફરી છે. કાપડના જથ્થાબંધ વેપારની બહારગામની મોટી માર્કેટમાં આગામી મહિનામાંની રવિવારની રજા પણ રદ કરીને માર્કેટ ચાલુ રાખવાનું જાહેર કર્યું છે.
તહેવારની ખરીદીની સીઝન શરૃ થઈ હોવાને કારણે કાપડ બજારના જથ્થાબંધ વેપારીઓ છેલ્લા થોડા દિવસથી ખૂબ જ વ્યસ્ત છે. જોકે હવે આગામી વર્ષ જાન્યુઆરી મહિનામાં મકરસંક્રાંતિ સુધી કામકાજ સંપૂર્ણપણે જળવાઈ રહેવાની આશા સૌની છે. કોરોના ભુલાઈ ગયો છે અને ફરી એક વખત વેપાર ઉદ્યોગ પહેલાંની જેમ આગળ વધી રહ્યો છે.
કોરોના મહામારીને કારણે વેપારીઓને વેપાર કરવામાં ખૂબ જ મોટી મુશ્કેલીઓ પડી હતી. અત્યારે જોકે, માર્કેટમાં થોડી ઘણી ખરીદી દેખાઈ રહી છે. તેને ધ્યાનમાં લઈને મુંબઈની એક ખૂબ જ મોટી માર્કેટ ઓક્ટોબર મહિનામાં તમામ રવિવારની રજાઓમાં ચાલુ રાખવાનું નિર્ણય લેવાયો છે. વેપારીઓ આનો મરજિયાત અમલ કરી શકશે. માર્કેટ કમિટીએ મિટિંગ કરીને માર્કેટ રજાને દિવસે પણ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.