સરકાર વેપારીઓ સાથે ચર્ચા કરી નીતિ બનાવે, જેમાં વેપાર માટે છુટછાટ આપવામાં આવે : રાજ્યના વેપારીઓની માંગ
Updated: May 12th, 2021
- લોકડાઉન જેવી સ્થિતીમાં નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ભારે તકલીફો પડી રહી છે
અમદાવાદ, તા. 12 મે 2021, બુધવાર
રાજ્યમાં કોરોના વાયરસના કહેર વચ્ચે સરકારે ગુજરાતના 36 શહેરોમાં કોરોનાના કારણે નિયંત્રણો લગાવી દેવામાં આવ્યા હતા. જેની મુદ્દત ગઇકાલે પુરી થયા બાદ સરકારે તેને અઠવાડિયું લંબાવી છે. જેને લઈને વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે સરકાર વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરી એક ગાઈડ લાઈન તૈયાર કરે અને જરૂર પડે તો દિવસ મુજબ જે તે વેપારને મંજુરી આપે તેવી માંગ કરી રહ્યા છે.
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી 36 શહેરોમાં પ્રતિબંધ લાગુ કર્યા છે. આ લોકડાઉન જેવી સ્થિતીમાં નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ભારે તકલીફો પડી રહી છે. હાલમાં સરકારી નિયંત્રણના કારણે નાના લોકોને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે અને સાથએ તેમને રોજગારીનો પ્રશ્ન પણ ઉભો થયો છે.
વેપરીઓનું કહેવું છે કે સરકાર વેપારીઓના પ્રતિનિધિ સાથે વાત કરી એક નીતિ તૈયાર કરે. જેમાં અલગ અલગ સેક્ટરને વાર મુજબ વેપાર ધંધા ખોલવાની મંજુરી આપવી જોઈએ. એટલે કે જો સોમવારે કાપડ બજાર અને તેને સંલગ્ન વેપારને મંજુરી આપે, તો તે જ રીતે બીજા કિ દિવસે અન્ય વેપારને મંજુરી આપે. જેથી નાના વેપારીઓને રોજગારી મળતી રહે. સરકાર કોઇપણ આગેવાનો સાથે ચર્ચા કરતી નથી અને સીધા જ આદેશ જાહેર કરી દે છે એટલે મુશ્કેલી સર્જાઈ રહી છે.
વેપારીઓનું કહેવું છે કે સરકાર દ્વારા કોઈ હાકારાત્મક નિર્ણય લેવાયો નથી. ઉલ્લેખનીય છે કે સરકારે નિયંત્રણો યથાવત રાખ્યા, જેના કારણે નાના વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે. ખરીદેલો માલ બગડવાની ચિંતા છે અને દુકાનના ભાડા પણ ચડી રહ્યા છે. આ સિવાય જો વાત કરીએ તો ઉદ્યોગોને પ્રોડક્શન માટે મંજુરી તો આપી દીધી પરંતુ જો ખપત જ ના હોય તો કેટલું પ્રોડક્શન કરશે? અંતે એ યુનિટ પણ બંધ થઇ જશે.