સ્મીમેર હોસ્પિટલ નજીક પડતી હોવા છતા દર્દીઓને 108 સિવિલ લાવે છે
Updated: Nov 18th, 2021
- સિવિલના મેડિકલ ઓફિસરે કરેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા કે 108નો સ્ટાફ સ્મીમેરમાં પૈસા ભરાવશે એવુ પણ કહે છે
સુરત :
પાલિકાની સ્મીમેર હોસ્પિટલ કેટલાક દર્દીઓને સારવાર કરાવવા માટે નજીક પડતી હોવા છતા 108 સ્ટાફ નવી સિવિલમાં લઇ આવતા હોવાની નારાજગી સાથે સિવિલના મેડીકલ ઓફિસરે લેખિત ફરીયાદ કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ સિવિલના મેડીકલ ઓફિસરે તબીબી અધિક્ષકને ફરીયાદ કરી હતી કે નવી સિવિલના ટ્રોમા સેન્ટ્રરમાં તાત્કાલિક વિભાગમાં 108 એમ્બ્યુલન્સમાં લાવવામાં આવતા અમુક દર્દીઓને 108ના કોઇ એક સ્ટાફ દ્વારા પ્રાઇમરી સારવાર આપ્યા વિના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં છે. જયારે અકસ્માતમાં ગંભીર થયેલા દર્દીઓને નજીકમાં આવેલા સી.એચ.સી કે પી.એચ.સી અથવા પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં સમયસર સારવાર મળી જાય તો દર્દીને બચાવી શકાય છતાં અમુક દર્દીઓને કે અજાણ્યા દર્દીઓને સ્મીમેર હોસ્પિટલમાં પૈસા ભરાવશે. કહીને 108 એમ્બ્યુલન્સમાં સિવિલમાં લવાતા હોવાના આક્ષેપ કર્યા છે. આ સંજોગોમાં દર્દીના સગા -સંબંધીઓ નવી સિવિલહોસ્પિટલના સ્ટાફ સાથે ગેરવર્તણૂંક અને અશોભનીય વર્તન કરે છે. સુરત 108ના ઓફિસર ફિયાઝખાન પઠાણે કહ્યુ કે જે દર્દીના સંબંધીઓ સિવિલમાં લઇ જવાનું કહે છે. તે દર્દીને સિવિલમાં લાવવામાં આવે છે. તમામ સ્ટાફને લેખિત અને મૌખીક સુચના આપવામાં આવી છે કે નજીક આવતી સ્મીમેર કે સિવિલમાં દર્દીઓને લઇ જવા. એમ્બ્યુલન્સમાં દર્દીને પ્રાથમિક કે જરૃરી સારવાર આપતા આપતા જે તે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે.