સાવરકુંડલામાં સ્વતંત્ર પર્વ પર ગેર હાજર રહેનાર શિક્ષકો સામે કાર્યવાહી, આખરે ગ્રામજનોએ ફરકાવ્યો તિરંગો
Savarkundla News: આઝાદીના પર્વની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક થઈ રહી હતી, ત્યારે સાવરકુંડલા તાલુકાના પીપરડી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંની પ્રાથમિક શાળામાં એક પણ શિક્ષક હાજર ન રહેતાં તંત્ર દ્વારા શિક્ષકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 4થી વધુ શિક્ષકોને જિલ્લા ડેપ્યુટી પ્રાથમિક શિક્ષણ અધિકારી જી.એમ સોલંકી દ્વારા નોટિસ મોકલવામાં આવી છે.
ઉલ્લેખનીય છે શાળામાં શિક્ષકો ગેરહાજર રહેતા ગ્રામજનો અને બાળકોએ શિક્ષકો વગર જ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવી પડી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આઝાદી પછી પહેલીવાર આવું બન્યું છે, જ્યારે શિક્ષકોની ગેરહાજરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો વારો આવ્યો.
આ પણ વાંચો: ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, ખેડૂતો ખુશ; જુઓ ક્યાં ક્યાં વરસાદ પડ્યો
સવારે ગામના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળાએ પહોંચ્યા હતા, પરંતુ એક પણ શિક્ષક ન આવતાં તેમને નિરાશ થઈને ઘરે પાછા ફરવું પડ્યું. ત્યારબાદ ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો શાળાએ પહોંચ્યા, પરંતુ ત્યાં પણ કોઈ શિક્ષક હાજર નહોતો. આખરે, ગ્રામજનોએ બપોરે 11 વાગ્યે એકત્ર થઈને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રગીત ગાઈને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી.
આ ઘટનાએ શિક્ષકોની બેદરકારી પર અનેક સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક આગેવાન સોયબભાઈ ખોખરના જણાવ્યા મુજબ, 'આ એક શરમજનક ઘટના છે. દેશભરમાં જ્યારે રાષ્ટ્રપ્રેમનો માહોલ છે, ત્યારે શિક્ષકોની આવી ગેરહાજરીએ ગામના બાળકો અને વડીલોને દુઃખી કર્યા છે.' આ ઘટના બાદ ગ્રામજનોમાં શિક્ષકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.