ડેટા અપગ્રેડેશન માટે રેલવેનું PRS એક સપ્તાહ રાતે 6 કલાક બંધ રહશે
Updated: Nov 15th, 2021
-રાતે 11:30થી સવારે 5:30 કલાક સુધી રિઝર્વેશન, બુકિંગ રદ કરવાની સુવિધા બંધ રહશે
સુરત,
પેસેન્જર સેવાઓને સામાન્ય બનાવવા અને તબક્કાવાર રીતે કોવિડ પહેલાંના સ્તર પર પાછાં લાવવાના રેલવેના પ્રયાસોના ભાગરૃપે, રેલવેની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (પીઆરએસ) 6 કલાક માટે આગામી 7 દિવસ રાત્રિ દરમિયાન બંધ કરવામાં આવશે.
આ સિસ્ટમ ડેટાના અપગ્રેડેશન અને નવા ટ્રેન નંબર વગેરેને અપડેટ કરવા માટે છે. તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં મોટી માત્રામાં ભૂતકાળ (જૂની ટ્રેન નંબરો) અને વર્તમાન પેસેન્જર બુકિંગ ડેટા અપડેટ થવાના હોવાથી, આ રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે. ટિકિટિંગ સેવાઓ પર અસર ઘટાડવા માટે આને રાત્રિના કલાકો દરમિયાન અમલમાં મૂકવામાં આવી રહ્યું છે, એમ મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે કહ્યું હતું.
આ પ્રવૃત્તિ તા. 14 અને 15 નવેમ્બરની મધ્ય રાત્રિથી શરૃ કરીને ૭ દિવસ માટે દરરોજ 23:30 કલાકથી 05:30 કલાક સુધી કરવામાં આવશે. આ 6 કલાકના સમયગાળામાં, કોઈ પીઆરએસ સેવાઓ (ટિકિટ આરક્ષણ, વર્તમાન બુકિંગ, રદ, વગેરે) ઉપલબ્ધ રહેશે નહીં. આ સમયગાળા દરમિયાન રેલ્વે કર્મચારીઓ અસરગ્રસ્ત સમય દરમિયાન ઉપડતી ટ્રેનો માટે એડવાન્સ ચાટગ સુનિશ્ચિત કરશે.