Video: ગાંધી આશ્રમ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી રેંટિયો કાંત્યો
- ગાંધી આશ્રમમાં જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુ રેંટિયો કાંતતા હતા
અમદાવાદ, તા. 12 માર્ચ 2019,
1961 પછી CWC (કોંગ્રેસ વર્કિંગ કમિટિ)ની બેઠક ગુજરાતમાં પ્રથમ વખત મળી રહીં છે. જેના માટે યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રિય અઘ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિતના દેશના ટોચના 55થી વધુ નેતાઓ અમદાવાદ આવ્યાં છે.
આજે સવારે ગાંધી પરિવારે આશ્રમ રોડ પર સાબરમતી નદીના તટે આવેલા વિશ્વ વિખ્યાત એવા ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી પરિવારના સભ્યોને જોવા માટે આશ્રમ રોડ પર મોટી સંખ્યામાં લોકો રાહ જોઇને બેઠા હતા. ગાંધી પરિવારને ઝેડ પ્લસ સિક્યોરિટી અપાઇ હોવાથી સલામતી ચુસ્ત બંદોબસ્ત વહેલી સવારથી જ ગોઠવાઇ દેવાયો હતો.
રાહુલ અને પ્રિયંકા પોતાની માતા સાથે ખુબ જ ઉત્સાહથી ગાંધી આશ્રમમાં ગયા હતા. જ્યાં તેઓએ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. ત્યાર બાદ પ્રિયંકા ગાંધીએ અને રાહુલ ગાંધીએ રેંટિયો કાંત્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને ભાઇ બહેનોએ જે જગ્યા પર બેસીને રેંટિયો કાંત્યો હતો એ જ જગ્યા પર બેસીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ પણ રેંટિયો કાંત્યો હતો.
રેંટિયો કાંતતી વખતે પણ પ્રિયંકા અને રાહુલ ખુશખુશાલ દેખાતા હતા. જોકે, ગાંધી આશ્રમમાં ગાંધી પરિવારના કોઇ સભ્યોએ ભાષણબાજી કે નિવેદનો આપ્યા નથી.
ગાંધી આશ્રમની વિઝીટર બુકમાં રાહુલ ગાંધીએ સંદેશો લખ્યો હતો કે આ સ્થળ ખુબ જ પ્રેરણાદાયી છે. તેમજ અમારા નેતાઓમાં પણ હજુ પણ આ પ્રેરણા યથાવત જાળવી રાખવા બદલ હું ગાંધીજીનો આભાર માનું છું.