For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઓલપાડના સાત ગામોની 5000 વિંઘા જમીન મીઠા ઉદ્યોગ માટે ફાળવવા તૈયારી

પિંજરત સહિતા ગામોના લોકોના વિરોધ વચ્ચે

Updated: Jan 25th, 2023


- રૃા.2000 કરોડની કિંમતની ખારખરાબાળી જમીન ફાળવવા મામલતદારના પોઝિટિવ રિપોર્ટ બાદ કાર્યવાહીથી ગ્રામજનો ધુંવાપુંવા

- કાંઠા વિસ્તારના લોકોને વિશ્વાસમાં લેવાયા નથી : ખેડૂતો, પશુપાલકો, ગરીબ માછીમારોના હિતમાં જમીન ફાળવણી અટકાવવા માંગણી

          સુરત

સુરત જિલ્લાના ઓલપાડના કાંઠા વિસ્તારોના ગામોમાં ઠેરઠેર મોટા પાયે ઝીંગા ઉદ્યોગ ધમધમી રહ્યા છે. જેના કારણે એકબાજુ રોજી રોટી મળે છે. તો બીજી બાજુ ગેરકાયદે ઝીંગના તળાવોના કારણે ખેતી પાકને નુકસાન પણ થઇ રહ્યુ છે. આ વિવાદ વચ્ચે હવે મીઠા ઉદ્યોગ માટે કાંઠા વિસ્તારની અંદાજે રૃપિયા ૨૦૦૦ કરોડની સરકારી ખારખરાબાવાળી ૫૦૦૦ વિંઘા જમીન આપવાની હિલચાલ શરૃ થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.

ઓલપાડના પીંજરત ગામની સરકારી ખારખરાબાવાળી જમીનમાં મીઠા ઉદ્યોગ માટે ફાળવણી કરવાની હિલચાલ શરૃ થઇ છે. અદાજે ૧૦ થી કંપનીઓએ મીઠા ઉદ્યોગ માટે જમીન ફાળવણી કરવાની માંગ કરાઇ હતી. જેના પગલે ઓલપાડ મામલતદારની સર્કલ ઓફિસરની ટીમ દ્વારા સર્વ કરાયા બાદ ઓલપાડ મામલતદારે આ જમીનો મીઠા ઉદ્યોગ માટે ફાળવણી કરવા માટે અભિપ્રાય આપ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે પીંજરત ગુ્રપ ગ્રામ પંચાયત સહિત સાત ગામોની અંદાજે રૃા.૨ હજાર કરોડથી વધુની કિંમત ધરાવતી આ સરકારી ખારખરાબાની પાંચ હજાર થી વધુ વિંઘા જમીન આપવા માટે હાલ જિલ્લા કલેકટરાલયમાં કાર્યવાહી ચાલી રહી છે. આ જમીન ફાળવાશે તો પીંજરત અને આજુબાજુના ગ્રામજનો માટે મોટી મુશ્કેલી સર્જાશે. મીઠાના અગરો બનતા વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉભી થશે. જમીન ફાળવણી બાબતે કાંઠા વિસ્તારના લોકોને વિશ્વાસમાં લેવાયા નથી. ખાનગી કંપનીઓ અને વહીવટીતંત્ર દ્વારા  કાર્યવાહી થઇ રહી છે.  આથી ખેડુતો, પશુપાલકો અને ગરીબ માછીમારો સહિતના ગ્રામજનોના હિતમાં આ જમીનની ફાળવણી અટકાવી દેવા માંગ ઉઠી છે.

ઘણા મીઠા ઉદ્યોગનો ભાડા પટ્ટો પૂર્ણ થયા બાદ રીન્યુ વગર ગેરકાયદે ધમધમી રહ્યા છે

ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે વર્ષો અગાઉ જિલ્લા કલેકટર દ્વારા ઓલપાડના કાંઠા વિસ્તારના ગામોમાં મીઠા ઉદ્યોગ માટે જમીનો ભાડાપટ્ટે ફાળવી હતી. જેનો ભાડાપટ્ટો પૂર્ણ થઇ ગયો હોવા છતા આજની તારીખે રીન્યુ કરાવ્યા વગર ગેરકાયદે મીઠાના અગરો ધમધમી રહ્યા છે. આ બાબતે કલેકટરાલય દ્વારા તપાસ થાય તો અનેક કૌભાડો બહાર આવે તેમ છે.

Gujarat