PM મોદીના રોડ શો બાદ એરપોર્ટ સર્કલથી દફનાળા સુધી 4 km સુધી ટ્રાફિક જામ થયો
ટ્રાફિકમાં ફસાતા વાહનચાલકો હેરાન-પરેશાન થયા, એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ
Updated: Dec 2nd, 2022
અમદાવાદ, તા.02 ડિસેમ્બર-2022, શુક્રવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને બીજા તબક્કા માટે જોરદાર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. પ્રથમ બક્કાની 89 બેઠકોનું મતદાન પૂર્ણ થયા બાદ હવે બીજા તબક્કાની 93 બેઠકો માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે, તો ભાજપ માટે વડાપ્રધાન મોદી પણ વિવિધ સ્થળોએ સભાઓ ગજવી, રોડ-શો યોજી ભરપુર કમર કસી રહ્યા છે. અમદાવાદમાં પણ બે દિવસથી તેઓનો રોડ-શો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 32 કિલોમીટર લાંબા યોજેલા રોડ શો બાદ આજે બીજા દિવસે પણ તેમનો રોડશો ચાલી રહ્યો છે, ત્યારે એરપોર્ટ સર્કલથી દફનાળા સુધી અંદાજે રાતે 9 વાગે ભયંકર 4 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ દરમિયાન ઘણા લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. તો 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હતી.
PM મોદીનો અમદાવાદમાં સળંગ બીજા દિવસે રોડ-શો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનના પ્રચાર માટે વડાપ્રધાન મોદીએ આજે પ્રચંડ પ્રચાર કર્યો હતો. તેમણે આજે અમદાવાદમાં સળંગ બીજા દિવસે રોડ શો કર્યો હતો. શાહીબાગથી સરસપુર સુધી તેમણે રોડ શો દ્વારા પ્રચાર કર્યો હતો. તેમણે અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કર્યા હતાં. ત્યારબાદ ત્યાંથી રોડશો આગળ વધ્યો હતો અને સારંગપુર ખાતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી.