ટ્રક હડફેટે મૃત્તકના વારસોને 85.79 લાખ અકસ્માત વળતર ચુકવવા હુકમ
સોલર એનર્જીના ડિલરનું 9 વર્ષ પહેલા મોત થયું હતું ઃ મૃત્તકના વારસોએ 30 લાખનો ક્લેઈમ કેસ કર્યો હતો
Updated: Jan 24th, 2023
સુરત
સોલર એનર્જીના ડિલરનું 9 વર્ષ પહેલા મોત થયું હતું ઃ મૃત્તકના વારસોએ 30 લાખનો ક્લેઈમ કેસ કર્યો હતો
9 વર્ષ પહેલાં ટ્રક હડફેટે મૃત્તક યુવાનના વિધવા વારસોએ કરેલી 30 લાખના અકસ્માત વળતરની માંગને મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલના ઓક્ઝીલરી જજ તથા એડીશ્નલ સેશન્સ જજ પ્રણવ એસ.દવેએ મંજુર કરીને મૃત્તકના વારસાનો વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.85.79 લાખ વળતર ચુકવી આપવા હુકમ કર્યો છે.
માંગરોળ તાલુકાના વાંકલ ગામના સ્ટેશન ફળીયામાં રહેતા તથા ડેલ્ટા સોલર એનર્જીના ડીલરશીપ ધરાવતા 46 વર્ષીય ચંદ્રસિંહ પ્રભાતસિંહ સંગદોત ગઈ તા.20-1-2014ના રોજ પોતાનું કામ પતાવીને મોટર સાયકલ પર ઉમરવાડાથી પરત ફરતા હતા.જે દરમિયાન પાટણદેવી બસસ્ટેશન નજીક કમલકુમાર મસરીભાઈ આહીર(રે.જલદર્શન કો. ઓ. સોસાયટી, અંકલેશ્વર ભરુચ)ની માલિકીના ટ્રકના ચાલક રામસ્વરૃપ દેવનારાયણ શાહુએ બેદરકારીથી ટ્રક ચલાવીને મોટર સાયકલ સવાર ચંદ્રસિંહને હડફેટે લેતા ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ.
જેથી મૃત્તક ચંદ્રસિંહના વિધવા પત્ની ઈલાબેન તથા પુત્ર ધર્મેન્દ્રસિંહ સંગદોતે ટ્રક ચાલક,માલિક તથા ટાટા એઆઈજી જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી કુલ રૃ.30 લાખ અકસ્માત વળતર વસુલ અપાવવા માંગ કરી હતી. સુનાવણી દરમિયાન અરજદારો તરફે જણાવ્યું હતું કે મૃત્તક ડેલ્ટા સોલર એનર્જીના ડીલર હોઈ વેચાણ ઈન્સ્ટોલીંગ તથા સર્વિસ પુરી પાડીને કુલ રૃ.7.25 લાખની વાર્ષિક આવક ધરાવતા હતા.મૃત્તકની વય માત્ર 46 વર્ષની હોઈ આકસ્મિક નિધનથી તેમના વારસોને નાણાંથી ન પુરી શકાય તેવી ખોટ પડી છે.જેથી કોર્ટે મૃત્તકની વય,આવક તથા ભવિષ્યની ખોટને લક્ષમાં લઈને મૃત્તકના વારસોને વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.85.79 લાખ વળતર ચુકવવા ટ્રક ચાલક,માલિક તથા વીમા કંપનીને હુકમ કર્યો છે.