ગુજરાત હાઈકોર્ટનો હૂકમ, ખેડૂત અકસ્માત વીમા યોજનાનો લાભ એક સંતાનને મળી શકે
હાઈકોર્ટે કહ્યું સરકાર મલ્ટીપલ ક્લેમ મંજૂર કરવા બંધાયેલી નથી તેનો પરિપત્ર વ્યાજબી છે
Updated: Jan 24th, 2023
અમદાવાદ, 24 જાન્યુઆરી 2023 મંગળવાર
ગુજરાત હાઈકોર્ટમાં ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા વળતર યોજનાને લઈને સુનાવણી યોજાઈ હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અગત્યનો હૂકમ કર્યો હતો કે, ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા વળતર યોજનાનો લાભ ખાતેદારના કોઈ એક સંતાનને જ મળી શકે છે. ગુજરાત સરકારે રાજ્યના ખાતેદાર ખેડૂતોને આકસ્મીક મૃત્યુ /કાયમી અંપગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના 26 મી જાન્યુઆરી, 1996થી આરંભ કરેલ છે.
સરકાર મલ્ટીપલ ક્લેમ મંજૂર કરવા બંધાયેલી નથી
હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, સરકારનો પરિપત્ર વ્યાજબી છે. ખેડૂત ખાતેદાર અકસ્માત યોજના મુદ્દે તેનો લાભ ખાતેદાર ખેડૂતના કોઈ એક સંતાનને મળી શકે છે. જો એકથી વધુ સંતાનોના ક્લેમ હોય તો કોઈ એક જ સંતાનનો ક્લેમ મંજુર રાખી શકાય. સરકાર મલ્ટીપલ ક્લેમ મંજૂર કરવા બંધાયેલી નથી.
યોજનાનો ઉદ્દેશ વારસદારને આર્થિક સહાય આપવાનો
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂત, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન તેમજ ખાતેદાર ખેડૂતના પતિ / પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અંપગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે. વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરનાર બધા જ ખાતેદાર ખેડૂતો, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન તેમજ ખાતેદાર ખેડૂતના પતિ/પત્નીનું અકસ્માતે મૃત્યુ કે કાયમી અપગંતાના કિસ્સામાં તેઓની ઉંમર ૫ થી ૭૦ વર્ષની હોય તેમને યોજનામાં લાભ મળવાપાત્ર છે.