લોક સાહિત્યકાર દેવાયત ખવડ પોલીસ પકડથી દૂર, ક્ષત્રિય મહિલાઓ પોલીસ કમિશ્નર કચેરી પહોંચી
દેવાયત ખવડે એક યુવક પર પાઈપથી હૂમલો કર્યો હતો
પીડિત યુવકની માતા ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે પોલીસમાં રજૂઆત કરવા પહોંચી
Updated: Dec 9th, 2022
રાજકોટ, 9 ડિસેમ્બર 2022, શુક્રવાર
લોકસાહિત્યકાર દેવાયત ખવડ આમતો ડાયરાઓમાં લોકોને દુઃખ સહન કરવાની શીખામણો આપે છે. જીવનને સુખી કેવી રીતે બનાવી શકાય તેના ઉદાહરણો આપે છે. હિંસા અને અહીંસા વચ્ચેનો ભેદ સમજાવે છે. ત્યારે રાજકોટમાં એક યુવક પર તેણે પાઈપોથી હૂમલો કરીને વિવાદ પેદા કર્યો છે. હૂમલો કર્યા બાદ દેવાયત ખવડ ગાડીમાં બેસીને ફરાર થઈ ગયો હતો અને ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવક હાલતો સારવાર લઈ રહ્યો છે. પરંતુ પોલીસ પકડથી દૂર રહેલો દેવાયત ખવડ તેનું ઘર બંધ કરીને ફરાર થઈ ગયો છે. આજે રાજકોટમાં પીડિત યુવકની માતા ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે પોલીસ કમિશ્નર કચેરી પહોંચી હતી અને દેવાયત સામે કડક પગલાં લેવાની રજૂઆત કરી હતી.
પીડિત યુવકની માતા ક્ષત્રિય મહિલાઓએ સાથે મોરચો માંડ્યો
લોકોની સામે ખુમારીની વાતો કરનાર દેવાયત એક યુવકને પાઈપો ફટકારીને ફરાર થઈ ગયો હતો. આખરે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તે પોતાના ઘરને તાળાકુંચી કરીને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. છેલ્લા 48 કલાકથી તે પોલીસની પકડથી દૂર છે. તેની સામે લોકોમાં ખાસ કરીને ક્ષત્રિય સમાજની મહિલાઓમાં આક્રોશ છે. ત્યારે રાજકોટમાં પોલીસ કમિશ્નર કચેરી ખાતે પીડિત યુવકની માતા અને ક્ષત્રિય મહિલાઓએ મોરચો માંડ્યો હતો અને પોલીસને દેવાયત સામે કડક પગલાં ભરવા માંગ કરી હતી. પીડિત યુવકની માતાએ પત્રકારોને કહ્યું હતું કે, આવા નરાધમોનું સરઘસ કાઢવું જોઈએ જેને જોઈને બીજો કોઈ આ પ્રકારનો ગુનો કરતાં હજારો વખત વિચાર કરે.
સમાધાન થયા બાદ પણ દેવાયતે હૂમલો કર્યો
રાજકોટમાં કાલાવડ રોડ પરની એક સોસાયટીમાં રહેતા મયુરસિંહ નામના યુવક પોતાની પાર્ક કરેલી કાર તરફ જઈ રહ્યા હતાં. ત્યારે પાછળથી દેવાયત ખવડ તેની કાર લઈને આવ્યો હતો અને અચાનક પાઈપોના ઉપરા છાપરી ફટકા મારવા માંડ્યો હતો. દેવાયતની સાથે અન્ય યુવકે પણ પાઈપોથી માર માર્યો હતો. આ હૂમલા સમયે આસપાસના લોકો ભેગા થઈ જતાં દેવાયત ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે વઘુ માર વાગવાથી ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. એક સમયે તો બંને વચ્ચે કોઈ મુદ્દાને લઈને થયેલી માથાકુટ સંદર્ભે જ્ઞાતિના મોભીઓની હાજરીમાં સમાધાન થયું હતું. પરંતુ અદાવતને ધ્યાનમાં રાખી દેવાયતે આ હિચકારો હૂમલો કર્યો હતો.